53 વર્ષ પહેલા મૃત્યુ પામેલા ખેડૂતના નામે જમીન વેચાણનો આરોપ: અરવલ્લીમાં કરોડોની જમીન સોદા મામલે SIT તપાસની માંગ

SHARE:

53 વર્ષ પહેલા મૃત્યુ પામેલા ખેડૂતના નામે દસ્તાવેજનો દાવો

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામની કરોડો રૂપિયાની જમીનના સોદાને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. સામાજિક કાર્યકર યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે જે ખેડૂતનું વર્ષ 1972માં અવસાન થઈ ચૂક્યું છે, તેના નામે વર્ષ 2025માં પાવર ઓફ એટર્ની અને વેચાણ દસ્તાવેજ નોંધાયા છે. આ સમગ્ર મામલે યુવરાજસિંહે દસ્તાવેજી વિગતો જાહેર કરીને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.

1972માં અવસાન, 2025માં પાવર ઓફ એટર્ની?

યુવરાજસિંહના જણાવ્યા મુજબ વાસણીરેલ ગામના મૂળ ખાતેદાર છગનભાઈ જીવણભાઈ પટેલનું 14 જાન્યુઆરી 1972ના રોજ અવસાન થયું હતું. મૃત્યુની સત્તાવાર નોંધ પણ ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું છે. તેમ છતાં 8 એપ્રિલ 2025ના રોજ બાયડ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં તેમના નામે પાવર ઓફ એટર્ની અને વેચાણ દસ્તાવેજ નોંધાયો હોવાનું દસ્તાવેજોમાંથી સામે આવતું હોવાનું યુવરાજસિંહનો દાવો છે.

આધાર કાર્ડ અને જમીન રેકોર્ડ વચ્ચે વિસંગતતા

યુવરાજસિંહે વધુમાં આક્ષેપ કર્યો છે કે દસ્તાવેજમાં રજૂ કરાયેલા આધાર કાર્ડમાં છગનભાઈની જન્મ તારીખ 1 જાન્યુઆરી 1971 દર્શાવવામાં આવી છે. જ્યારે મહેસૂલી રેકોર્ડ મુજબ આ જમીન વર્ષ 1950થી તેમના નામે નોંધાયેલી હોવાનું સામે આવે છે. જન્મ વર્ષ અને જમીનની માલિકી વચ્ચેની આ વિસંગતતા અનેક સવાલો ઉભા કરે છે.

વારસદારોને બાજુએ રાખી વેચાણ થયું હોવાનો આક્ષેપ

દાવા મુજબ મૂળ ખાતેદારના કાયદેસરના વારસદારો હયાત હોવા છતાં વારસાઈ પેઢીનામું નોંધ્યા વગર સીધો વેચાણ વ્યવહાર કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દસ્તાવેજમાં દર્શાવાયેલા સાક્ષીઓનો ગામ સાથે સીધો સંબંધ ન હોવાનું પણ યુવરાજસિંહે જણાવ્યું છે.

20.60 લાખના ચેક ટ્રાન્ઝેક્શનની તપાસની માંગ

જમીનના સોદામાં રૂ.20.60 લાખના ચેક દ્વારા નાણાકીય વ્યવહાર દર્શાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. યુવરાજસિંહે માંગ કરી છે કે આ રકમ કયા ખાતામાં જમા થઈ, કોના દ્વારા ઉપાડવામાં આવી અને સમગ્ર વ્યવહાર દરમિયાન કઈ પ્રક્રિયા અપનાવવામાં આવી તેની પણ વિગતવાર તપાસ થવી જોઈએ.

SIT રચી ફોજદારી ગુનો નોંધવાની માંગ

યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર મામલે જમીન ખરીદનાર, દસ્તાવેજ સાથે સંકળાયેલા વ્યક્તિઓ તેમજ સંભવિત રીતે જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી ગુનો નોંધવાની માંગ કરી છે. તેમણે વિવાદિત દસ્તાવેજ રદ કરીને સમગ્ર પ્રકરણની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાની પણ માંગ કરી છે.

સત્તાવાર પ્રતિક્રિયાની રાહ

આક્ષેપો સામે હજુ સુધી સંબંધિત સરકારી વિભાગો અથવા સંકળાયેલા વ્યક્તિઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. જો કે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ વધુ જોર પકડી રહી છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!