પુણેના ચર્ચિત કેતન અગ્રવાલ હત્યાકાંડની તપાસમાં વધુ એક મહત્વનો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાંથી એક યુવકને કસ્ટડીમાં લીધો છે. આ યુવક બાલેવાડીની એક કંપનીમાં નોકરી કરે છે અને તપાસમાં મહત્વની કડી બની શકે છે.
બંનેમાંથી કોઈ એકનો મિત્ર હોવાનો દાવો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કસ્ટડીમાં લેવાયેલો યુવક સિયા ગોયલ અથવા કેતન અગ્રવાલમાંથી કોઈ એકનો મિત્ર હોવાનું સામે આવ્યું છે. તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે હત્યાનું કાવતરું બંનેએ આ યુવક સાથે પણ શેર કર્યું હતું. જોકે પોલીસે હજુ સુધી તેની ઓળખ જાહેર કરી નથી. તપાસના આધારે તેને સાક્ષી બનાવવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
‘ક્રાઈમ પેટ્રોલ’ જોઈને ઘડ્યો હતો પ્લાન?
તપાસ દરમિયાન પોલીસને એવી માહિતી મળી છે કે મુખ્ય આરોપી ચેતન ચૌધરી અને સિયા ગોયલે હત્યા પહેલા ટીવી સીરિયલ ‘ક્રાઈમ પેટ્રોલ’ના અનેક એપિસોડ જોયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર બંનેએ હત્યા બાદ તપાસ એજન્સીઓને કેવી રીતે ગેરમાર્ગે દોરવી તે સમજવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રેમ સંબંધમાં અવરોધ બન્યો હતો કેતન
પોલીસના પ્રાથમિક તારણ મુજબ 18 જૂને લોહગઢ કિલ્લા પરથી પડી જવાથી 25 વર્ષીય કેતન અગ્રવાલનું મોત થયું હતું. જોકે તપાસમાં પોલીસને શંકા છે કે સિયા અને ચેતનના સંબંધમાં કેતન અવરોધ બની રહ્યો હોવાથી તેની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
સિયા સાથે ક્રાઈમ સીનનું રીક્રિએશન
તપાસના ભાગરૂપે પુણે પોલીસે સિયા ગોયલને લુલ્લાનગર વિસ્તારમાં આવેલી ટેકરી પર લઈ જઈ ક્રાઈમ સીનનું રીક્રિએશન કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ અહીં સિયા અને ચેતને કેતનને નીચે ફેંકવાની રિહર્સલ કરી હતી. ત્યારબાદ પંચનામું કરીને સિયાને તેના નિવાસસ્થાને લઈ જવામાં આવી હતી, જ્યાં લગભગ 30 મિનિટ સુધી તપાસ કરીને ઘટનાના દિવસે પહેરેલા કપડાં અને અન્ય ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા હતા.