રાજકોટમાં ચકચારી ખુલાસો: આપઘાત નહીં, માતા-પિતાએ જ કરી 23 વર્ષીય પુત્રની હત્યા

SHARE:

આપઘાત નહીં, હત્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં 30 જૂને બનેલા 23 વર્ષીય રામ બાબુભાઈ બાંભવાના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં ઘટનાને આત્મહત્યા તરીકે રજૂ કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ પોલીસની તપાસમાં સામે આવ્યું કે મૃતકની હત્યા તેના સગા માતા-પિતાએ જ કરી હતી.
માતાએ એસિડ પીવડાવ્યું, પિતાએ ગળેટૂંપો આપ્યો
પોલીસ તપાસ મુજબ મૃતક રામ અને તેના માતા-પિતા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. 30 જૂને પણ ઉગ્ર બોલાચાલી બાદ માતા મનીષાબેન ઉર્ફે મોતીબેને પુત્રને બળજબરીથી એસિડ પીવડાવ્યું હતું. ત્યારબાદ પિતા બાબુભાઈ ઉર્ફે અતુલભાઈ બાંભવાએ માર મારી ગળેટૂંપો આપી તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
આપઘાતનો રંગ આપવા રચાયું કાવતરું
હત્યા બાદ સમગ્ર ઘટનાને આપઘાતમાં ખપાવવા માટે આરોપીઓએ પ્રયાસ કર્યો હતો. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ઝડપથી પેનલ પોસ્ટમોર્ટમ કરાવવા માટે કેટલાક રાજકીય આગેવાનો અને સ્થાનિક નેતાઓ મારફતે ભલામણો પણ કરવામાં આવી હતી. જોકે પોલીસની સઘન તપાસમાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો.
સરકારી નોકરીની તૈયારી કરતો હતો રામ
મળતી માહિતી મુજબ રામ બાંભવાએ ખેડબ્રહ્માની કોલેજમાંથી એગ્રીકલ્ચરમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને સરકારી નોકરીની તૈયારી કરી રહ્યો હતો. બીજી તરફ તેના પિતા તેને પોતાની ચાની દુકાન પર બેસાડવા ઇચ્છતા હતા. આ મુદ્દે પિતા-પુત્ર વચ્ચે સતત મતભેદ રહેતા હતા, જે અંતે હત્યામાં પરિણમ્યા હોવાનું પોલીસનું માનવું છે.
દારૂડિયો હોવાનું ખોટું ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ
હત્યા બાદ આરોપી માતા-પિતાએ રામ દારૂ પીતો હતો અને ઘરમાં સતત ઝઘડા કરતો હતો તેવી વાતો ફેલાવી ઘટનાને અલગ દિશામાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ તપાસમાં આ દાવો સાચો સાબિત થયો નથી.
પત્નીની ફરિયાદ બાદ માતા-પિતાની ધરપકડ
મૃતકની ચાર મહિના પહેલાં જ પરણેલી પત્ની બંશીબેન બાંભવાએ પોતાના સાસુ-સસરા વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103(1), 124 અને 54 હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!