ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ આતંકવાદ વિરોધી અભિયાન હેઠળ વધુ એક મોટી કાર્યવાહી કરતાં પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા વધુ પાંચ શંકાસ્પદની ધરપકડ કરી છે.
આ આરોપીઓને સિદ્ધપુર, વડગામ અને ભરૂચમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. અગાઉ ધરપકડ કરાયેલા આઠ આરોપીઓની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું ATSએ જણાવ્યું છે.
અગાઉના 8 આરોપીઓ સાથે હોવાનું પ્રાથમિક જોડાણ
ATSના જણાવ્યા મુજબ, નવા ઝડપાયેલા પાંચેય આરોપીઓ અગાઉ ધરપકડ કરાયેલા આઠ આરોપીઓના સંપર્કમાં હતા. તપાસ દરમિયાન મળેલા પુરાવા અને નિવેદનોના આધારે તેમની સંડોવણી સામે આવતા તેમની અટકાયત કરવામાં આવી છે.
તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે આ નેટવર્કમાં અન્ય કોણ-કોણ સામેલ છે અને તેમનું સંભવિત લક્ષ્ય શું હતું.
મોબાઇલમાંથી મળ્યું વિસ્ફોટક સંબંધિત સાહિત્ય
તપાસ દરમિયાન આરોપીઓના મોબાઇલ ફોનમાંથી વિસ્ફોટકો બનાવવાની પદ્ધતિ સંબંધિત PDF દસ્તાવેજો અને અન્ય ડિજિટલ સાહિત્ય મળ્યું હોવાનું ATSએ જણાવ્યું છે.
તપાસ એજન્સી અનુસાર, જપ્ત કરાયેલા સાહિત્યમાં વિસ્ફોટક તૈયાર કરવાની માહિતી તેમજ જેહાદી વિચારધારા સંબંધિત સામગ્રીનો સમાવેશ થાય છે. આ સામગ્રીની ફોરેન્સિક અને ટેક્નિકલ તપાસ ચાલુ છે.
ત્રણ વર્ષમાં અનેક સ્થળોએ વિસ્ફોટક પરીક્ષણ કર્યાની તપાસ
ATSના DIG સુનિલ જોશીના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન એવી માહિતી મળી છે કે આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી વિસ્ફોટક બનાવવાનો અભ્યાસ કરી રહ્યા હતા અને વિવિધ અવાવરુ સ્થળોએ પરીક્ષણ પણ કર્યા હોવાની શંકા છે.
તપાસ એજન્સી આ દાવાઓની પુષ્ટિ માટે પુરાવા એકત્ર કરી રહી છે.
ગન પાઉડર બનાવવા માટે સામગ્રી ખરીદ્યાનો આરોપ
ATSના જણાવ્યા મુજબ, આરોપીઓ પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર સહિતની સામગ્રી ઓનલાઇન તેમજ સ્થાનિક બજારમાંથી ખરીદતા હતા.
પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે કેટલાક ટાઈમર ડિવાઇસ ખરીદવામાં આવ્યા હતા. આ તમામ સામગ્રી ક્યાં અને કયા હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવવાની હતી તે અંગે તપાસ ચાલુ છે.
જેહાદી સાહિત્ય અને પ્રચાર અંગે પણ તપાસ
તપાસ દરમિયાન કેટલીક પેન ડ્રાઇવ અને અન્ય ડિજિટલ સ્ટોરેજ ડિવાઇસમાંથી જેહાદી ભાષણો તથા સાહિત્ય મળ્યાનો દાવો ATSએ કર્યો છે.
એજન્સી તપાસ કરી રહી છે કે આરોપીઓ અન્ય લોકોને કટ્ટરપંથી વિચારધારા તરફ પ્રેરિત કરવાનો પ્રયાસ કરતા હતા કે નહીં અને આ પ્રવૃત્તિઓનું નેટવર્ક કેટલું વિસ્તૃત હતું.
રથયાત્રા સહિત સંભવિત કાવતરાં અંગે તપાસ ચાલુ
ATSએ જણાવ્યું છે કે આરોપીઓને કોઈ ચોક્કસ ટાર્ગેટ આપવામાં આવ્યો હતો કે નહીં અને જાહેર કાર્યક્રમો, જેમાં રથયાત્રા જેવા મોટા ધાર્મિક કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે, તેને લઈને કોઈ કાવતરું ઘડાયું હતું કે નહીં તેની તપાસ ચાલી રહી છે.
હાલ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર નિષ્કર્ષ જાહેર કરવામાં આવ્યો નથી.
કડી કોર્ટે 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા
ધરપકડ બાદ તમામ પાંચ આરોપીઓને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
સરકારી પક્ષે વધુ પૂછપરછ અને પુરાવા એકત્ર કરવાની જરૂરિયાત દર્શાવતા પોલીસ રિમાન્ડની માંગ કરી હતી, જેને ગ્રાહ્ય રાખીને કોર્ટે તમામ પાંચ આરોપીના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.