સફદરજંગ હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પર સંદેશ શેર કરીને 20 જુલાઈના પ્રસ્તાવિત સંસદ માર્ચને “આઝાદીનું બીજું આંદોલન” ગણાવ્યું છે.
પોસ્ટમાં તેમણે લખ્યું કે આ આંદોલન પેપર લીક જેવા અન્યાયથી આઝાદી અને ગેરકાયદેસર અટકાયતના ભયથી આઝાદી માટે છે. પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ સંદેશ તેમની પત્ની ગીતાંજલિ આંગમો દ્વારા તેમની અટકાયત દરમિયાન શેર કરવામાં આવ્યો છે.
પત્નીએ ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની કરી માંગ
સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ આંગમોએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને તેમને સફદરજંગ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની માંગ કરી છે. તેમણે દલીલ કરી છે કે પરિવારને હાલની સારવાર વ્યવસ્થા પર વિશ્વાસ નથી અને વધુ સારી સારવાર માટે હોસ્પિટલ બદલવાની મંજૂરી આપવામાં આવે.
ઉપવાસ હજુ યથાવત, સારવાર સ્વીકારવાનો ઇનકાર
સફદરજંગ હોસ્પિટલના જણાવ્યા મુજબ સોનમ વાંગચુક હજુ પણ ઉપવાસ પર છે અને તેમણે ડ્રિપ, ORS તેમજ દવાઓ લેવાનો ઇનકાર કર્યો છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર તેમનામાં ડિહાઇડ્રેશન, પોટેશિયમની ઉણપ અને અન્ય મેટાબોલિક ગડબડીઓના સંકેતો જોવા મળ્યા છે. જોકે હાલ તેમના મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય માપદંડો (Vital Parameters) સ્થિર હોવાનું જણાવાયું છે. Nડોક્ટરો સતત તેમને જરૂરી સારવાર સ્વીકારવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પોલીસ કાર્યવાહી પર વિવાદ યથાવત
18 જુલાઈએ દિલ્હી પોલીસે જંતર-મંતર પરથી સોનમ વાંગચુકને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. CJP અને પ્રદર્શનકારીઓએ પોલીસ પર બળપ્રયોગ અને ધક્કામુક્કીના આરોપ લગાવ્યા છે, જ્યારે દિલ્હી પોલીસે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. પોલીસનું કહેવું છે કે હાઈકોર્ટના નિર્દેશ અને ડોક્ટરોની સલાહના આધારે જ કાર્યવાહી કરવામાં આવી હતી.
20 જુલાઈના સંસદ માર્ચને લઈને તણાવ
કોકરોચ જનતા પાર્ટી (CJP)એ 20 જુલાઈએ સંસદ સુધી માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. CJPનું કહેવું છે કે માર્ચ કોઈપણ સંજોગોમાં યોજાશે. બીજી તરફ દિલ્હી પોલીસનું કહેવું છે કે આ માર્ચ માટે જરૂરી પરવાનગી લેવામાં આવી નથી. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન નવી દિલ્હી જિલ્લામાં લાગુ સુરક્ષા પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને પરવાનગી વગરના માર્ચ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
જંતર-મંતર વિસ્તારમાં વધારાની પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ (RAF)ની તૈનાતી પણ કરવામાં આવી છે.
પ્રદર્શનની માંગો વધુ વિસ્તરી
NEET પેપર લીક કેસમાં જવાબદારી નક્કી કરવા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે શરૂ થયેલા આંદોલનમાં હવે CJP દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગ પણ ઉઠાવવામાં આવી છે.
આ દરમિયાન CJPના સ્થાપક અભિજીત દીપક પણ બીજા દિવસથી ભૂખ હડતાળ પર છે અને તેમણે સંસદ માર્ચને સફળ બનાવવા અપીલ કરી છે.