સુરતમાં પ્રેમી દંપતીનો કરુણ અંત
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી એક હોટેલમાં પ્રેમલગ્ન કરનાર યુવાન દંપતીએ ઝેરી દવા પી લેતાં દુઃખદ ઘટના સર્જાઈ છે. 23 વર્ષીય માનસી ઉમરેટીયા અને અભય ત્રાડાએ હોટેલના રૂમમાં સેલ્ફોસ નામની ઝેરી દવા પી લીધી હતી. ઘટનામાં માનસીનું તાત્કાલિક મોત થયું હતું, જ્યારે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા અભયનું પણ બાદમાં મોત થયું હતું.
હોટેલના રૂમમાં ભર્યું અંતિમ પગલું
સરથાણા બાપા સીતારામ ચોક પાસે આવેલી લા મરીના હોટેલના રૂમ નંબર 103માં બંને મળ્યા હતા. માનસી રોજની જેમ નોકરીએ જવાનું કહી ઘરેથી નીકળી હતી. ત્યારબાદ બંને હોટેલમાં મળ્યા અને ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને પરિવારજનો દોડી આવ્યા હતા. બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ માનસીને મૃત જાહેર કરી હતી.
અંતિમ મેસેજ વાંચીને પરિવાર સ્તબ્ધ
મોત પહેલાં બંનેએ પરિવારજનોને ભાવુક મેસેજ મોકલ્યા હતા. માનસીએ પોતાના પિતાને મેસેજ કરીને લખ્યું હતું, “મમ્મીનું ધ્યાન રાખજો, આઈ લવ યુ.” જ્યારે અભયે પોતાના ભાઈને મેસેજમાં લખ્યું હતું કે, “માનસીના પપ્પા લગ્નની તારીખ આપતા નથી એટલે અમે આ પગલું ભરીએ છીએ. તેમાં કોઈની જવાબદારી નથી.”
બે વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે માનસી અને અભય એકબીજાને પ્રેમ કરતા હતા. બંનેએ બે વર્ષ પહેલાં કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ દોઢ વર્ષ પહેલાં પરિવારોની સંમતિથી સગાઈ પણ થઈ હતી. પરિવારજનો સામાજિક રીત-રિવાજ મુજબ લગ્ન કરાવવાની તૈયારીમાં હતા, પરંતુ લગ્નની તારીખ નક્કી ન થતા બંને ચિંતામાં હતા. પ્રાથમિક તપાસ મુજબ આ જ કારણથી તેમણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
બંને પરિવારો સામાન્ય વ્યવસાય સાથે જોડાયેલા
માનસી છેલ્લા છ મહિનાથી પ્રોપર્ટી સંબંધિત ઓફિસમાં નોકરી કરતી હતી. તેના પિતા રેતી-કપચીના વ્યવસાય સાથે જોડાયેલા છે. જ્યારે અભય મકાન દલાલીનું કામ કરતો હતો અને તેના પિતા હીરા ઉદ્યોગમાં નોકરી કરે છે.
પોલીસે તપાસ શરૂ કરી
સરથાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બંને યુવાનોના મોતથી પરિવારજનો સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.







