શિક્ષકના લાફાથી વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાનો આક્ષેપ
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે લાફો મારતાં તેના કાનને ગંભીર ઈજા પહોંચી હોવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીના પરિવારનો આક્ષેપ છે કે આ ઘટનાના કારણે કાનનો પડદો ફાટી ગયો છે અને હાલમાં તેને સાંભળવામાં તકલીફ પડી રહી છે.
પીટી પિરિયડ દરમિયાન બની ઘટના
મળતી માહિતી મુજબ, પીટીના પિરિયડ દરમિયાન વિદ્યાર્થી અન્ય મિત્રો સાથે શાળાના ગ્રાઉન્ડમાં બેઠો હતો. તે દરમિયાન ઇંગ્લિશ મીડિયમના એક શિક્ષકે વિદ્યાર્થીને ઊભો કરાવી કોઈ સ્પષ્ટ કારણ વગર લાફો માર્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે. પરિવારનું કહેવું છે કે વિદ્યાર્થી ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરે છે અને સંબંધિત શિક્ષક સાથે તેનો કોઈ સીધો સંપર્ક પણ નહોતો.
તબીબી તપાસમાં કાનને ઈજા હોવાનું સામે આવ્યું
ઘટના બાદ વિદ્યાર્થીને ENT નિષ્ણાત પાસે લઈ જવામાં આવ્યો હતો. તબીબી તપાસમાં કાનના પડદાને ગંભીર નુકસાન પહોંચ્યાનું સામે આવ્યું હોવાનું પરિવારનું કહેવું છે. હાલ વિદ્યાર્થીને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે અને સ્થિતિમાં સુધારો ન થાય તો સર્જરીની જરૂર પડી શકે તેવી શક્યતા તબીબોએ વ્યક્ત કરી હોવાનું જણાવાયું છે.
શાળા ટ્રસ્ટ અને શિક્ષકે ભૂલ સ્વીકારી હોવાનો દાવો
વિદ્યાર્થીના પિતાના જણાવ્યા મુજબ, ઘટનાને લઈને શાળા ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન સંબંધિત શિક્ષક અને ટ્રસ્ટીઓએ ઘટના અંગે પોતાની ભૂલ સ્વીકારી હોવાનું તેમણે જણાવ્યું. જોકે, પરિવારએ ભવિષ્યમાં વિદ્યાર્થીને કાન સંબંધિત કોઈ તકલીફ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી શાળા અને શિક્ષકની રહેશે તે અંગે લેખિત ખાતરીની માંગ કરી છે.
પોલીસમાં ફરિયાદ નોંધાઈ
આ સમગ્ર મામલે વિદ્યાર્થીના પરિવારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ અંગે નોન-કોગ્નિઝેબલ (NC) ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સંબંધિત શિક્ષક સામે કાયદાકીય પ્રક્રિયા મુજબ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલુ છે.