રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે સવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ હાઈજેક થયાનો મેસેજ મળતા સમગ્ર એરપોર્ટ પર ભારે દોડધામ મચી ગઈ હતી. પ્લેનમાં 65 મુસાફરો સવાર હોવાની માહિતી મળતા સુરક્ષા એજન્સીઓ અને એરપોર્ટ સ્ટાફ તાત્કાલિક એક્શનમાં આવી ગયા હતા.
આતંકીઓએ ગૃહમંત્રી સાથે વાત કરવાની કરી માંગ
મોકડ્રિલના દૃશ્ય મુજબ ત્રણ આતંકીઓએ જેલમાં બંધ પોતાના સાથીઓને મુક્ત કરવાની માંગ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી સાથે વાત કરવાની જીદ પકડી હતી. સુરક્ષા એજન્સીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી.
રન-વે પર ફાયર વ્હિકલ ગોઠવી ફ્લાઈટ રોકાઈ
એર ટ્રાફિક કંટ્રોલને સવારે લગભગ 11:30 વાગ્યે હાઈજેકનો સંદેશ મળતા એરોડ્રામ કમિટીના અધ્યક્ષ અને શહેર પોલીસ કમિશનર સહિતનો કાફલો સક્રિય થયો હતો. અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક તાત્કાલિક એરપોર્ટ પહોંચ્યા હતા. ફ્લાઈટને આગળ વધતી રોકવા માટે રન-વે પર ફાયર વ્હિકલ ગોઠવવામાં આવ્યું હતું.
CISF કમાન્ડોએ ચારેબાજુથી ઘેરાબંધી કરી
CISFની ક્વિક રિસ્પોન્સ ટીમના કમાન્ડોએ વિમાનને ચારે બાજુથી ઘેરી લીધું હતું. દબાણ ઊભું કરવા માટે આતંકીઓએ એક મુસાફરને ઈજા પહોંચાડી ફ્લાઈટની બહાર ધકેલી દીધો હતો. ઇજાગ્રસ્ત મુસાફરને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
વાતચીત બાદ આતંકીઓએ કર્યું આત્મસમર્પણ
ભારત સરકારના પ્રતિનિધિ તરીકે અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક આતંકીઓ સાથે સતત વાટાઘાટ કરતા રહ્યા હતા. બીજી તરફ કમાન્ડોએ પ્લેનની નજીક પહોંચી સુરક્ષા ઘેરો વધુ મજબૂત બનાવ્યો હતો. આખરે ત્રણેય આતંકીઓએ આત્મસમર્પણ કર્યું અને તેમને હિરાસતમાં લઈને પોલીસને સોંપવામાં આવ્યા.
સલામતી વ્યવસ્થા ચકાસવા યોજાઈ મોકડ્રિલ
સંપૂર્ણ કાર્યવાહી બાદ ખુલાસો થયો કે આ સમગ્ર ઘટના એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા અને ઈમર્જન્સી પ્રતિસાદની તૈયારી ચકાસવા માટે યોજાયેલી એન્ટી હાઈજેક મોક એક્સરસાઇઝનો ભાગ હતી. બાદમાં એરોડ્રામ કમિટીની બેઠકમાં સમગ્ર કવાયતની સમીક્ષા કરવામાં આવી હતી.