રાજ્યમાં વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઈટેન્શન લાઈનને લઈને ખેડૂતોના લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ બાદ ગુજરાત સરકારે વળતર નીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે અસરગ્રસ્ત ખેડૂતોને જંત્રીને બદલે જમીનના વર્તમાન બજારભાવના બમણા દરે વળતર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જંત્રીને બદલે બજારભાવ આધારિત વળતર
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે જમીનની કિંમત નક્કી કરવા માટે હવે ‘માર્કેટ રેટ કમિટી’ (MRC) બનાવવામાં આવશે. આ સમિતિમાં જિલ્લા કલેક્ટર, અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિઓ અને ટ્રાન્સમિશન કંપનીના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવશે.
વીજ ટાવર માટે વળતરમાં વધારો
નવી નીતિ મુજબ 765 KV ટ્રાન્સમિશન લાઈન માટે ટાવર વિસ્તારનું વળતર અગાઉના 625 ચોરસ મીટરની જગ્યાએ હવે 729 ચોરસ મીટર સુધી ચૂકવવામાં આવશે. ઉપરાંત, અગાઉ તબક્કાવાર મળતું વળતર હવે એકસાથે 100 ટકા ચૂકવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
રાઇટ ઓફ વે માટે અલગ-અલગ દર
સરકારે ‘રાઇટ ઓફ વે કોરિડોર’ માટે પણ નવા વળતર દર જાહેર કર્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતના 30 ટકા, નગરપાલિકા વિસ્તારમાં 45 ટકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં 60 ટકા વળતર ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે.
ખેડૂત સંગઠનોમાં હજુ પણ અસંતોષ
સરકારના નિર્ણય છતાં કેટલાક ખેડૂત સંગઠનોનું માનવું છે કે વીજ ટાવર ઉભા થયા બાદ આસપાસની જમીનની ખેતી, ઉપયોગિતા અને બજાર કિંમત પર લાંબા ગાળાની અસર થાય છે. તેથી માત્ર વળતરમાં વધારો ખેડૂતોને થતા કાયમી નુકસાનની સંપૂર્ણ ભરપાઈ કરી શકશે નહીં તેવી દલીલ પણ થઈ રહી છે.