કેન્દ્ર સરકારે શનિવારે જૈશ-એ-મોહમ્મદ (JeM), લશ્કર-એ-તૈયબા (LeT), ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) અને જમાત-ઉદ-દાવા (JuD) જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા 23 લોકોને આતંકવાદી જાહેર કર્યા છે. આ નિર્ણય બાદ દેશમાં જાહેર કરાયેલા આતંકવાદીઓની કુલ સંખ્યા વધીને 80 થઈ ગઈ છે.
ભરતી, ઘૂસણખોરી અને આતંકી કાવતરામાં સંડોવણીનો આરોપ
સરકારના જણાવ્યા મુજબ જાહેર કરાયેલા લોકો આતંકવાદીઓની ભરતી, ભારતમાં ઘૂસણખોરી કરાવવી, આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવું, આતંક માટે નાણાં એકત્રિત કરવા તેમજ હથિયારો અને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવા જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા.
6 કાશ્મીરના, 17 પાકિસ્તાનમાં રહેતા
જાહેર કરાયેલા 23 લોકોમાંથી 6 જમ્મુ-કાશ્મીરના મૂળ રહેવાસી છે, જ્યારે 17 પાકિસ્તાનમાં રહે છે. તેમાં 7 લોકો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં અને 10 પાકિસ્તાનના અન્ય વિસ્તારોમાં હોવાનું સરકારે જણાવ્યું છે.
નગરોટા અને સુનજવાં હુમલા સાથે પણ કડી
યાદીમાં સામેલ કેટલાક જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓના નામ 2016ના નગરોટા આર્મી કેમ્પ હુમલા અને 2022ના સુનજવાં હુમલા સાથે પણ જોડાયેલા હોવાનું જણાવાયું છે. નગરોટા હુમલામાં 7 ભારતીય જવાનો શહીદ થયા હતા, જ્યારે સુનજવાંમાં CISFના જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો.
આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી વધુ સખત
કેન્દ્ર સરકારનું કહેવું છે કે દેશની આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવા અને આતંકવાદી નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવા માટે આવા પગલાં સતત લેવામાં આવશે. તપાસ એજન્સીઓ પણ આ સંગઠનોના નેટવર્ક સામે કાર્યવાહી આગળ વધારી રહી છે.