ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનીના અંતિમ સંસ્કાર માટે તેહરાનના ગ્રાન્ડ મોસલ્લામાં લાખો લોકો એકઠા થયા છે. શિયા પરંપરા મુજબ કાળા વસ્ત્રોમાં લોકો શોક વ્યક્ત કરતા જોવા મળ્યા. સમારોહ દરમિયાન ‘અમેરિકા મુર્દાબાદ’, ‘બદલો’ અને અન્ય સૂત્રોચ્ચારો પણ ગૂંજ્યા.
9 જુલાઈ સુધી ચાલશે અંતિમ વિધિઓ
ખામેનીના અંતિમ સંસ્કાર સંબંધિત ધાર્મિક વિધિઓ 3 જુલાઈથી શરૂ થઈ છે અને 9 જુલાઈ સુધી ચાલશે. શુક્રવારે યોજાયેલા કાર્યક્રમમાં 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જોકે ભારત, રશિયા, ચીન અને તુર્કીયે જેવા દેશોએ ટોચના નેતાઓને બદલે નીચલા સ્તરના પ્રતિનિધિઓ મોકલ્યા.
તેહરાનમાં કડક સુરક્ષા વ્યવસ્થા
અંતિમ સંસ્કારને ધ્યાનમાં રાખીને સમગ્ર તેહરાનમાં સેનાની ભારે તૈનાતી કરવામાં આવી છે. મુખ્ય માર્ગો, સરકારી ઇમારતો અને કાર્યક્રમ સ્થળો પર સુરક્ષા વધારવામાં આવી છે. લોકોની અવરજવર સરળ રહે તે માટે મેટ્રો અને સરકારી બસ સેવા મફત રાખવામાં આવી છે.
અમેરિકા-ઈરાન સંબંધો ફરી ચર્ચામાં
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાનને અંતિમ સંસ્કાર માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે અને ત્યારબાદ બંને દેશો વચ્ચેની વાટાઘાટો આગળ વધી શકે છે. બીજી તરફ ઈરાને પરમાણુ સ્થળોના નિરીક્ષણ અંગે કડક વલણ યથાવત રાખ્યું છે.
અંતિમ યાત્રા અનેક પવિત્ર શહેરોમાંથી પસાર થશે
ખામેનીની અંતિમ યાત્રા તેહરાન બાદ કોમ, કરબલા, નજફ અને અંતે મશહદ સુધી પહોંચશે. મશહદમાં તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે, જ્યાં શિયા સમુદાયનું પવિત્ર ઇમામ રઝા દરગાહ પણ આવેલું છે.