સ્માર્ટ મીટરને લઈને મહત્વપૂર્ણ ચુકાદો
ગુજરાત વિદ્યુત નિયામક આયોગ (GERC)ના વીજ લોકપાલે સ્માર્ટ મીટર અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વીજ વિતરણ કંપનીઓ પ્રવર્તમાન કાયદા અને નિયમો મુજબ ગ્રાહકના પરંપરાગત મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવી શકે છે. આ પ્રક્રિયા માટે ગ્રાહકની પૂર્વ સંમતિ લેવી ફરજિયાત નથી.
શું હતો સમગ્ર કેસ?
આ ચુકાદો મહેન્દ્રકુમાર ડી. પટેલ વિરુદ્ધ MGVCL (લાલબાગ ડિવિઝન, વડોદરા) કેસમાં આપવામાં આવ્યો છે. અરજદારે દાવો કર્યો હતો કે તેમની મંજૂરી વિના સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું, જેના કારણે બેંકની ઓટો-ડેબિટ સુવિધા ખોરવાઈ અને બાદમાં વીજ પુરવઠો પણ કાપી નાખવામાં આવ્યો.
બીજી તરફ MGVCLએ રજૂઆત કરી હતી કે સ્માર્ટ મીટરનું સ્થાપન Electricity Act, 2003, CEA Metering Regulations, Electricity (Rights of Consumers) Rules અને GERC Supply Code મુજબ કરવામાં આવ્યું છે. ઉપરાંત બેંકની ઓટો-ડેબિટની સમસ્યાનો મીટરના પ્રકાર સાથે કોઈ સંબંધ નથી.
વીજ લોકપાલે શું કહ્યું?
વીજ લોકપાલે ગ્રાહકની અપીલ ફગાવી દેતાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમ (CGRF)ના નિર્ણયને યથાવત્ રાખ્યો છે. સાથે જ કેટલાક મહત્વના મુદ્દા સ્પષ્ટ કર્યા છે.
-
સ્માર્ટ મીટર માટે ગ્રાહકની પૂર્વ મંજૂરી જરૂરી નથી.
-
ગ્રાહક સ્માર્ટ મીટરમાં કોઈ ટેક્નિકલ ખામી કે ખોટા બિલિંગના પુરાવા રજૂ કરી શક્યા નથી.
-
જો મીટરની ચોકસાઈ અંગે શંકા હોય તો GERC Supply Code મુજબ થર્ડ-પાર્ટી લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવી શકાય છે.
-
માત્ર વિરોધના આધારે જૂનું મીટર ફરીથી લગાવવાની માંગ સ્વીકારી શકાશે નહીં.







