કડી :
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં જાહેર આરોગ્ય વ્યવસ્થાને લઈને ગંભીર ચર્ચા જાગી છે. શહેરનાં મુખ્ય વિસ્તારો થી લઈને ગ્રામ્ય વસ્તી ઓ સુધી એવા લોકો દ્વારા દવાખાના ચલાવવામાં આવી રહ્યા હોવાની ચર્ચા છે, જે પાસે માન્ય તબીબી ડિગ્રી કે પ્રેક્ટિસ લાઈસન્સ ન હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જનતા અને સામાજિક મંચો માં આ મુદ્દો છેલ્લા કેટલાક સપ્તાહો થી ગરમાયો છે.
સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનોનો આક્ષેપ છે કે આવા “હાટડી ડોકટરો”ને કારણે લોકોના જીવન અને સ્વાસ્થ્ય ઉપર જોખમ વધી રહ્યું છે. છતાં, આરોગ્ય વિભાગ તરફથી અસરકારી પગલાં દેખાતા નથી.
જ્યાં જુઓ ત્યાં ક્લિનિક — પણ અધિકૃત લાઈસન્સ ક્યાં છે?
કડી શહેરમાં, કરણનગર રોડ, નાની કડી જકાતનાકા, કુંડાળ રોડ,પાણી ની ટાંકી,કસ્બા વિસ્તાર જેવા શહેરી વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર માં પણ લાઈટ બોર્ડ વાળા નાના દવાખાનાઓ ની સંખ્યા ઝડપી વધી રહી છે.
સ્થાનિક નાગરિકો કહે છે:
“ખાનગી હોસ્પિટલમાં ફી વધારે પડે છે, એટલે ગરીબ અને મધ્યમવર્ગીય લોકો હાટડી ડોકટરો પાસે જઈ પડે છે.
પણ સારવાર ખોટી પડે તો જોખમ બહુ મોટું છે.”
આવા દવાખાનાઓમાં સીરમ,પેઇન કિલર ઇન્જેક્શન, એન્ટિબાયોટિક , તાવ ની સારવાર જેવી સારવાર કરવામાં આવતી હોવાનું લોકો કહે છે.
કાયદાએ સ્પષ્ટ કહ્યું છે — તો અમલ ક્યાં છે?
ભારતીય મેડિકલ કાઉન્સિલ એક્ટ તથા રાજ્ય આરોગ્ય કાયદા મુજબ:
✅ ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરવી ગુનો
✅ એલોપેથી દવા લખવી અથવા આપવી ગુનો
✅ સીરમ / ઇન્જેક્શન આપવું ગંભીર ગેરકાયદેસર
કાગળ પર કાયદો કડક છે પણ જમીન પર દેખાતી કાર્યવાહી ઓછી છે, એવી ચર્ચા છે.
તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. બ્રિજેશ પ્રજાપતિની ભૂમિકા ચર્ચામાં
જોટાણા તાલુકામાંથી કડીમાં બદલી થયા બાદ, ડૉ. બ્રિજેશ પ્રજાપતિ પાસેથી લોકોમાં મોટી અપેક્ષાઓ હતી પરંતુ તેમની કામગીરી ફક્ત દેખાવ પૂરતી હોવાની લોકોમાં ચર્ચા છે.સ્થાનિકોમાં ચર્ચા છે કે કોઈ મોટી રેડ નથી, કોઈ જગ્યાએ સીલ કરવામાં આવ્યું હોય કે લાયસન્સ ચેક કરવામાં આવ્યું હોય તેની કોઈ માહિતી નથી
લોકોમાં સવાલ:
“શું તંત્રને સ્થિતિની જાણ છે કે ખબર હોવા છતા પગલાં લેવાતા નથી?”
ગેરકાયદે દવાખાનાઓ બાબતે તાલુકા હેલ્થ વિભાગનું સત્તાવાર નિવેદન મળ્યું નથી અને આ મૌન હવે ચર્ચા અને શંકાઓને વધુ તીવ્ર બનાવી રહ્યું છે.
ડો.બ્રિજેશ પ્રજાતિ ની માત્ર સેન્ટર મુલાકાતો અને સીન સપાટા થી સમસ્યા હલ થતી નથી – સ્થાનિકોની ચર્ચા
એક વડીલ સામાજિક કાર્યકરે કડક શબ્દોમાં કહ્યું:
“કાગળમાં કામગીરી બતાવી શકાય છે,પણ મેદાનમાં દેખાય એ જ વાસ્તવિક કામગીરી છે!”
આરોગ્ય જોખમો — જે બેદરકારી નહીં, પરંતુ જીવન-મરણનો પ્રશ્ન
ડિગ્રી વિનાના સારવાર કરનાર દ્વારા ખોટી દવા અથવા ઇન્જેક્શન આપવાથી બ્લડ પ્રેશર માં તકલીફ,અન્ય દવાઓ સાથે રિએક્શન,સેપ્ટિસેમિયા (બ્લડ ઇન્ફેક્શન),રિએક્શનથી શોક અને મરણ સુધી પહોંચવાની ઘટના શક્ય છે.
આ મુદ્દો માત્ર કાયદાનો નથી આ જીવનનો મુદ્દો છે.
લોકોની માંગ — હવે ‘મોટી કાર્યવાહી’ જોઈએ
નાગરિક મંચો, સમાજ જન અને યુવા ફોરમે માંગ રાખી છે:ગેરકાયદે દવાખાનાઓ નું સર્વેક્ષણ,લાઈસન્સ ચેકિંગ,ગેરકાયદે પ્રેક્ટિસ બંધ કરાવવી અને જાહેર રેકોર્ડ માં કાર્યવાહી મુકવી
જો આવનારા દિવસોમાં પગલાં ન લેવાય, તો
જિલ્લા આરોગ્ય અધિકારી → કલેક્ટર → આરોગ્ય સચિવાલય સુધી લેખિત રજૂઆતો કરવાની તૈયારીની જાણ થઈ છે.
આગળનું પગલું હવે તંત્રની વિશ્વસનીયતા પર નિર્ભર
કડીમાં લોકોનો સવાલ ખૂબ જ સીધો છે:
“આરોગ્ય ઉપર જોખમ વધે તે પહેલાં તંત્ર જાગશે?” જો નહીં—તો લોકો આ મુદ્દે મૌન નહીં રહે.






