રિપોર્ટર તુષાર કમાણી સુરત
સુરત શહેરના વરાછા વિસ્તારમાં વધતી ગેરવ્યવસ્થા, અવૈધ પ્રવૃત્તિઓ અને નશાના કારોબારને લઈને સ્થાનિક જાગૃત નાગરિકોએ મોટી પહેલ કરી છે. વિસ્તારની સુરક્ષા–સ્વચ્છતા અને શાંતિ ભંગ કરતી ઘટનાઓ સામે આજે નાગરિક જૂથે સુરત પોલીસ કમિશનર સાહેબને વિગતવાર રજૂઆત કરી હતી.
રજુઆત દરમિયાન નાગરિકોએ જણાવ્યા મુજબ, વરાછાના વિવિધ ઓવરબ્રિજ નીચે ગેરકાયદેસર દબાણો, નશીલા પદાર્થોની અવરજવર, રાત્રિના શંકાસ્પદ હલચલ, અવાજ–હુલ્લડ, ટ્રાફિક જામ અને ગંદકી જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. ખાસ કરીને ચીકુવાડી બ્રિજ નીચેનો ફ્રુટ માર્કેટ, જ્યાં ફૂટપાથ અને માર્ગ પરના દબાણોને કારણે ટ્રાફિક અને સફાઈની ગંભીર સમસ્યાઓ ઉભી થઈ છે.
નાગરિકોની રજૂઆતને પગલે કમિશનર સાહેબે તરત જ મેયર તથા વરાછા–કાપોદ્રા–સરથાણા પોલીસ સ્ટેશનોને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્ય સૂચનોમાં–
કોર્પોરેશન અને પોલીસનું સંકલિત અભિયાન
ગેરકાયદેસર દબાણો દૂર કરવાનું તાત્કાલિક આયોજન
નશાના વેપાર પર ઝીરો ટોલરન્સ
રાત્રિ પેટ્રોલિંગ અને CCTV મોનિટરિંગમાં વધારો
મહિલાઓ અને વિદ્યાર્થીઓની સલામતીને ઉચ્ચ પ્રાથમિકતા
નાગરિકોએ ખાસ કરીને રાત્રે ચાલતી શંકાસ્પદ હલચલ બંધ કરવાની, નશીલા પદાર્થોનો સપ્લાય રોકવાની અને વિસ્તારને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવા લાંબા ગાળાના કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.
એકતા સાથે આગળ વધેલા વરાછાના નાગરિકોનું આ પગલું વિસ્તારની સુરક્ષા અને શાંતિ માટે મોટું પગથિયું બની શકે છે.








