રીપોર્ટર : કુલદીપ ભાટીયા, સાબરકાંઠા
ઇડર ટાઉન હોલ ખાતે ગીતા જયંતિ નિમિત્તે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સાબરકાંઠાના સંયુક્ત આયોજન હેઠળ જિલ્લા સ્તરીય ‘ગીતા મહોત્સવ’નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરાની અધ્યક્ષતા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક મહેશભાઇ જોષીની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ ગીતા પૂજન સાથે કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ભગવદ ગીતાના અધ્યાયોના સમૂહ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી સુંદર પ્રદર્શનીઓ પણ ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર રહી હતી.
ધારાસભ્ય રમણલાલ વોરાએ ગીતા મહોત્સવમાં પોતાના સંબોધનમાં જણાવ્યું કે,
“આજે સમગ્ર ગુજરાતમાં ગીતા જયંતિની ઉજવણી થઈ રહી છે. ભગવદ ગીતા જીવનને ઉન્નત بنانے માર્ગદર્શન આપે છે. જીવનમાં ધર્મ, કર્તવ્ય અને માનવસેવા ગીતા આપણને શીખવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ દેશ વિકાસની દિશામાં પ્રગતિ કરી રહ્યો છે, પરંતુ સાથોસાથ પોતાના સાંસ્કૃતિક વારસાને જાળવીને વિકાસ કરવાનો સંદેશો પણ તેઓ આપે છે. સંસ્કૃત ભાષા એ આપણી વિરાસત છે અને તેને જાળવવાની જવાબદારી આપણા સૌની છે.”
પ્રાથમિક શિક્ષણ નિયામક મહેશભાઇ જોષીએ જણાવ્યું કે,
“ટેકનોલોજીના યુગમાં સંસ્કૃત કોડિંગની ભાષા તરીકે વિકસી રહી છે. સંસ્કૃત એ માત્ર ભાષા નહીં પરંતુ સમગ્ર સંસ્કૃતિનો આધાર છે. ભાષાઓની જનની તરીકે સંસ્કૃતની વિશેષતા અનન્ય છે. જે સંસ્કૃત શીખે છે તે દરેક ભાષા સરળતાથી સમજી શકે છે. આજના યુગમાં પણ સંસ્કૃતના વિદ્વાનો આપણી આ સમૃદ્ધ ભાષાને જનજન સુધી પહોંચાડવાનું મહત્વનું કાર્ય કરી રહ્યા છે.”
કાર્યક્રમમાં વક્તા પારૂલબેન શુક્લા અને પ્રોફેસર અરવિંદભાઇ પટેલે ગીતા જયંતિ તેમજ સંસ્કૃત ભાષાના મહિમા પર પ્રેરણાદાયી વક્તવ્ય પાઠવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન હિમાંશુ નિનામા, ઇડર તાલુકા પંચાયત પ્રમુખ કાંતીભાઇ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કેયુર ઉપાધ્યાય, ડાયેટ પ્રાચર્ય મદનસિંહ ચૌહાણ, અગ્રણી પ્રકાશભાઇ પરમાર સહિત મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી.









