દિલ્હી સરકારનો મોટો નિર્ણય
દિલ્હીમાં વધતા ઇંધણ વપરાશ અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને રેખા ગુપ્તા સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ‘મેરા ભારત મેરા યોગદાન’ અભિયાન હેઠળ હવે સરકારી કચેરીઓમાં અઠવાડિયામાં બે દિવસ વર્ક ફ્રોમ હોમ (WFH) અમલમાં મુકવામાં આવશે.
સરકારી કર્મચારીઓ ઘરેથી કરશે કામ
નવી વ્યવસ્થા મુજબ અઠવાડિયામાં બે દિવસ સરકારી કચેરીઓના કર્મચારીઓ 100 ટકા ઘરેથી કામ કરશે. જોકે ઈમરજન્સી અને આવશ્યક સેવાઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ઓફિસ સમય બદલાયા
દિલ્હી સરકારની કચેરીઓ હવે સવારે 10 વાગ્યાથી સાંજના 7:30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. જ્યારે નિગમ કચેરીઓનો સમય સવારે 8:30થી સાંજના 5:30 સુધી નક્કી કરવામાં આવ્યો છે.
જાહેર પરિવહનને મળશે પ્રોત્સાહન
સરકારે કર્મચારીઓને જાહેર પરિવહન વધુ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા ખાસ યોજના જાહેર કરી છે. ગ્રેડ 1થી 8ના કર્મચારીઓ જો પોતાના એલાઉન્સનો 25 ટકા ભાગ જાહેર પરિવહનમાં ખર્ચશે તો તેમને વધારાનું 10 ટકા એલાઉન્સ આપવામાં આવશે.
મેટ્રો સુધી સ્પેશિયલ બસ સેવા
કર્મચારીઓને ઘરેથી મેટ્રો સ્ટેશન સુધી પહોંચાડવા માટે 29 કોલોનીઓમાં 58 વિશેષ બસો દોડાવવામાં આવશે. સરકારનું માનવું છે કે આ પગલાથી ખાનગી વાહનોનો ઉપયોગ ઘટશે.
પેટ્રોલ ક્વોટામાં 20% ઘટાડો
સરકારી અધિકારીઓ માટે પેટ્રોલ ક્વોટામાં 20 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. સાથે જ દર સોમવારે મંત્રીઓ અને અધિકારીઓએ જાહેર પરિવહનનો ઉપયોગ કરવો ફરજિયાત બનાવાયો છે.
વિદેશ પ્રવાસ અને નવા વાહન ખરીદી પર રોક
આગામી એક વર્ષ સુધી મંત્રી અને અધિકારીઓના વિદેશ પ્રવાસ પર નિયંત્રણ મુકાયું છે. ઉપરાંત આગામી 6 મહિના સુધી નવા સરકારી વાહનોની ખરીદી નહીં કરવામાં આવે.
વીજળી બચાવવા પણ ખાસ યોજના
સરકારે તમામ ઓફિસોમાં ACનું તાપમાન 24થી 26 ડિગ્રી વચ્ચે રાખવાનો નિર્ણય કર્યો છે. વીજળી બચાવવા માટે સેન્સર આધારિત સ્વિચ પણ લગાવવામાં આવશે.
ખાનગી કંપનીઓને પણ અપીલ
CM રેખા ગુપ્તાએ ખાનગી કંપનીઓને પણ શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ અમલમાં મૂકવા અપીલ કરી છે, જેથી ટ્રાફિક, પ્રદૂષણ અને ઇંધણ વપરાશમાં ઘટાડો થાય.
જનજાગૃતિ અભિયાન શરૂ થશે
દિલ્હીમાં આગામી 90 દિવસ સુધી ઇંધણ બચત અને જાહેર પરિવહન પ્રોત્સાહન માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. લોકોને ‘નો વ્હીકલ ડે’ ઉજવવા અને મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનોને પ્રાથમિકતા આપવા પણ અપીલ કરવામાં આવી છે.






