દિલ્હીમાં સવારની શાંતિ વચ્ચે સર્જાઈ મોટી દુર્ઘટના
રાજધાની દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં બુધવારે સવારે ભયાનક આગની ઘટના સામે આવી છે. એક રેસ્ટોરન્ટમાંથી શરૂ થયેલી આગ થોડી જ વારમાં સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ જતાં અનેક લોકો ફસાઈ ગયા હતા. ઘટનામાં અત્યાર સુધી 21 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે.
રેસ્ટોરન્ટથી હોટેલ સુધી આગનો કહેર
મળતી માહિતી મુજબ સવારે લગભગ 8:50 વાગ્યે લેમન ગ્રીન નામની રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઉપર આવેલા ફ્લોરિશ સ્ટે હોટેલના માળોને પણ ઝપેટમાં લઈ લીધા હતા. ઘટનાના સમયે હોટેલમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
જીવ બચાવવા લોકો ઉપરથી કૂદ્યા
આગ વધતાં બિલ્ડિંગમાં ફસાયેલા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. કેટલાક લોકોએ જીવ બચાવવા માટે ઉપરના માળ પરથી નીચે છલાંગ લગાવી હતી. સ્થાનિક રહેવાસીઓએ પણ બચાવ માટે જમીન પર ગાદલા પાથરી માનવતા દાખવી હતી.
40થી વધુ લોકોનો રેસ્ક્યૂ
ફાયર બ્રિગેડ અને બચાવ ટીમોએ સતત કામગીરી કરીને 40થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. ઘણા લોકોને ધુમાડાની અસર તેમજ ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વિદેશી નાગરિકો પણ બન્યા ભોગ
અધિકારીઓના જણાવ્યા મુજબ મૃતકોમાં મધ્ય એશિયા અને આફ્રિકન દેશોના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. જોકે હજુ સુધી તેમની ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં આવી નથી.
હોટેલમાં સારવાર માટે આવેલા દર્દીઓના સગાં રોકાયા હતા
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પાંચ માળની આ હોટેલમાં લગભગ 25 રૂમ હતા. અહીં 50થી વધુ લોકો રોકાયા હતા, જેમાં મોટાભાગના લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓના પરિવારજનો અને એટેન્ડન્ટ્સ હતા.
AIIMSમાં ઘાયલોની સારવાર શરૂ
AIIMS દિલ્હીના અધિકારીઓએ જણાવ્યું છે કે ઘટનામાં ઘાયલ થયેલા 13 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં કેટલાક લોકો બિલ્ડિંગ પરથી કૂદતા ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે અન્ય લોકોને ધુમાડા અને આગની અસર થઈ છે.
ફાયર બ્રિગેડે યુદ્ધના ધોરણે હાથ ધરી કામગીરી
દિલ્હી ફાયર સર્વિસને સવારે 8:50 વાગ્યે કોલ મળ્યો હતો. માહિતી મળતાની સાથે જ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શરૂઆતમાં 7 ફાયર એન્જિન મોકલવામાં આવ્યા હતા, બાદમાં પરિસ્થિતિની ગંભીરતા જોતા વધુ ગાડીઓ અને કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતા.
મૃત્યુઆંક વધવાની આશંકા
બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. અનેક લોકો ગંભીર હાલતમાં હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.







