અમદાવાદમાં નર્મદા કેનાલમાંથી બે યુવકોના મૃતદેહ મળ્યા
અમદાવાદની બહારથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક જ દિવસમાં બે અલગ-અલગ સ્થળેથી બે અજાણ્યા યુવકોના મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
જમીયતપુરા અને ખોરજ ગામ નજીક મળી લાશ
પ્રાથમિક માહિતી મુજબ પહેલો મૃતદેહ જમીયતપુરા ગામની હદ નજીક કેનાલના વહેતા પાણીમાંથી મળી આવ્યો હતો. જ્યારે બીજો મૃતદેહ ખોરજ ગામની સીમ પાસે પસાર થતી નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
સ્થાનિકોની નજરે ચડ્યા મૃતદેહ
કેનાલ કિનારેથી પસાર થઈ રહેલા સ્થાનિક લોકોને પાણીમાં શંકાસ્પદ વસ્તુ તરતી દેખાઈ હતી. નજીક જઈ તપાસ કરતાં તે યુવકોના મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
તરવૈયાઓની મદદથી બહાર કાઢાયા મૃતદેહ
માહિતી મળતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સ્થાનિક તરવૈયાઓની મદદથી ભારે જહેમત બાદ બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ
એક જ દિવસમાં બે યુવકોના મૃતદેહ મળવાના બનાવને લઈને અનેક સવાલો ઊભા થયા છે. બંનેના મોત અકસ્માતે ડૂબી જવાથી થયા છે, આત્મહત્યાનો મામલો છે કે અન્ય કોઈ ગુનાહિત કારણ છે તે અંગે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. હાલ મૃતકોની ઓળખ અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.