રિપોર્ટર: દિલીપસિંહ જાડેજા, શંખેશ્વર – પાટણ
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં સરકારશ્રીએ આશરે ચાર મહિના પહેલા નવીન વીજ કચેરી શરૂ કરવાની સત્તાવાર મંજૂરી આપી હોવાની માહિતી મળી રહી છે. પરંતુ આ મંજૂરીને લાંબો સમય વીતી ગયા છતાં, વીજ કંપની દ્વારા આજદિન સુધી એક પણ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. પરિણામે શંખેશ્વર તાલુકાની સમગ્ર પ્રજાને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
સરકારી ગેજેટ અને વીજ કંપનીની આંતરિક મંજૂરી બાદ શંખેશ્વર તાલુકાના તમામ ગામોને નવી કચેરીમાં સમાવેશ કરવામાં આવ્યા હતા. અગાઉ આ ગામો બહુચરાજી, હારીજ અને સમી વીજ કચેરીઓના અધિકારક્ષેત્રમાં આવતા હતા. પરંતુ હવે નવો વહિવટ અમલમાં આવ્યા પછી લોકો જ્યારે પોતાની જરૂરીયાતો માટે જૂની કચેરીઓનો સંપર્ક કરે છે ત્યારે ત્યાંના અધિકારીઓ તેમને સ્પષ્ટ કહી દે છે કે — “તમારું ગામ હવે શંખેશ્વર વીજ કચેરી હેઠળ આવે છે, ત્યાં જ સંપર્ક કરો.”
સમસ્યા એ છે કે શંખેશ્વર ખાતે નવીન વીજ કચેરીનું કાર્ય જ શરૂ કરવામાં આવ્યું નથી—ના બિલ્ડિંગ, ના સ્ટાફની નિયુક્તિ, ના કોઈ સુવિધા. આમ, લોકો પાસે ફરતી કચેરીઓના માત્ર ચક્કર જ રહે છે. કોઈ કામ નિકળી શકતું નથી, અને જનતાની હાલત ‘અગાઉની કચેરીઓ નહીં અને નવી કચેરી અસ્તિત્વમાં જ નથી’ જેવી બની ગઈ છે.
તાલુકાના સૈંકડો ગામોના ખેડૂતો, વેપારીઓ, ઘરેલું વપરાશકર્તાઓને વીજ જોડાણ, ખામી, બિલિંગ, ફેરફાર, ટ્રાન્સફોર્મર સહિતની નાની-મોટી સેવાઓ માટે અન્ય કચેરીઓના કાઉન્ટર પર કલાકો ઉભા રહેવું પડે છે, પરંતુ કામ નિકળતું નથી. આથી જનતા વચ્ચે ભારે અસંતોષ અને ગુસ્સો ફાટી નીકળ્યો છે.
સ્થાનિક વતનીઓ અને ગ્રામજનો વીજ કંપનીની બેદરકારીને ‘ઘોર નિંદ્રા’ સાથે સરખાવતા કહી રહ્યા છે કે સરકાર મંજૂરી આપી શકે છે, પરંતુ અમલ ન થાય તો તેનો કોઈ અર્થ નથી. જનતા માગ કરે છે કે વીજ કંપની તાત્કાલિક કાર્યવાહી કરી સ્ટાફની નિયુક્તિ, ઓફિસ શરૂ કરવી, અને તમામ સેવાઓ કામગીરીમાં મૂકવી જોઈએ.
જલદી પગલાં ન લેવાય તો આગલા દિવસોમાં આ મુદ્દો વધુ તીવ્ર થવાની શક્યતા નકારાતી નથી.






