ડાંગ: વાહુટીયા ગામમાં પ્રાકૃતિક કૃષિ તાલીમથી ખેડૂતોએ શીખ્યા કુદરતી ખેતીના લાભ અને ટેકનિક્સ

SHARE:

અહેવાલ : અશ્વિન પટેલ, ડાંગ

ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) અંતર્ગત ગામે ગામે તાલીમ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અનુસંધાને ગતરોજ સુબીર તાલુકાના માળગા કલસ્ટરમાં આવતું વાહુટીયા ગામ પ્રાકૃતિક ખેતી અંગેના વિગતવાર તાલીમકાર્યક્રમનું યજમાન બન્યું હતું.

કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સંજય ભગરીયા, CRP રાજુભાઈ, કૃષિ સખી રાધાબેન, K.V.K. સાયન્ટિસ્ટ પ્રતીકભાઈ જાવિયા, A.A. મેઘા ગામીત, MTRP પાડવી મયુરીબેન સહિતના નિષ્ણાતો અને ટ્રેનરો ઉપસ્થિત રહ્યા હતાં. તેઓએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની સંકલ્પના તેમજ તેની આર્થિક–પર્યાવરણીય અસર અંગે સરળ ભાષામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ટ્રેનરો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો –

જીવામૃત,

ઘન જીવામૃત,

બીજામૃત,

આચ્છાદન, અને

મિશ્ર પાક પદ્ધતિ

વિશે પ્રાયોગિક સમજણ આપવામાં આવી હતી. ખેડૂતોએ કેવી રીતે રાસાયણિક ખાતર અને જંતુનાશકના ઉપયોગ વગર પણ વધુ ઉપજ હાંસલ કરી શકાય તે અંગે ઉપયોગી માહિતી મેળવી.

આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ દ્વારા જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે, ખેતી ખર્ચમાં ઘટાડો થાય, તથા ખેડૂતોની આવકમાં વધારો થાય તે અંગેના અનુભવો પ્રગતિશીલ ખેડૂત સુકીરાવભાઈ ગાયકવાડ દ્વારા શેર કરાયા હતાં.

રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતી માટે આપતી યોજનાકીય સહાય, તાલીમ, માર્ગદર્શન તથા લાભોને પણ વિગતવાર સમજાવવામાં આવ્યા, જેથી ખેડૂતો પરંપરાગત અને કુદરત આધારિત ખેતી તરફ વળે તેવા પ્રયાસો સફળ બને.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા આત્મા પ્રોજેક્ટની કચેરી દ્વારા કુદરતી ખેતીને ગ્રામ્ય અર્થતંત્ર માટે પરિવર્તનકારી સાધન બનાવવા દિશામાં સતત પ્રયત્નો ચાલી રહ્યાં છે. જમીનની ગુણવત્તા સુધારવા, પર્યાવરણને રક્ષણ આપવા અને ભવિષ્યની પેઢી માટે સ્વસ્થ ખેતી પદ્ધતિ સ્થાપિત કરવાનો આ કાર્યક્રમ મુખ્ય હેતુ ધરાવે છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!