જામનગરમાં વાહન ચોરીના સિન્ડિકેટ પર એલ.સી.બી.નો પ્રહાર

SHARE:

અહેવાલ: વિશાલ હરવરા જામનગર 

₹1.40 લાખના ચાર ચોરાયેલા વાહન સાથે મોટરસાયકલ ચોર ઝડપાયો

ચાર અલગ-અલગ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાઓ ઉકેલાયા

જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી મોટરસાયકલ ચોરીની ઘટનાઓ સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા મોટી અને અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલ.સી.બી. પોલીસે એક કુખ્યાત વાહન ચોરને ₹1,40,000/- કિંમતના ચાર ચોરાયેલા વાહનો સાથે ઝડપી પાડીને ચાર અલગ-અલગ વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આ કાર્યવાહીથી જામનગર પોલીસ બેડામાં નોંધપાત્ર સફળતા મળી છે.

પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ રેન્જ અશોકકુમાર (IPS) દ્વારા વણશોધાયેલા ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના પગલે જામનગરના પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની (IPS) એ એલ.સી.બી.ને આ દિશામાં સઘન કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.

પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી બની મહત્વપૂર્ણ કડી

એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એમ. લગારિયા ના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટર સી.એમ. કાંટેલીયા, પો.સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી તથા એલ.સી.બી. સ્ટાફ જામનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલા ચોરીના ગુનાઓ અંગે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન એલ.સી.બી. સ્ટાફના દિલીપભાઈ તલાવડીયા, કાસમભાઈ બ્લોચ, હિતેન્દ્રસિંહ જાડેજા અને ઋષિરાજસિંહ વાળાને એક વિશ્વસનીય બાતમી મળી હતી કે એક ઇસમ ચોરાયેલા વાહનો સાથે ખોડીયાર કોલોની વિસ્તારમાં ફરી રહ્યો છે.

બાતમીની ખરાઈ કરી તાત્કાલિક કાર્યવાહી કરતા એલ.સી.બી. ટીમે જામનગર શહેરના ખોડીયાર કોલોની અંધાશ્રમ આવાસ પાસેના બ્રિજ પાસેથી એક શખ્સને અટકાવ્યો. તપાસ કરતા તેના કબજામાંથી ચાર મોટરસાયકલ મળી આવી હતી, જે તમામ ચોરાયેલા હોવાનું બહાર આવ્યું.

પકડાયેલ આરોપી અને ચોરાયેલો મુદામાલ

પકડાયેલ આરોપીનું નામ અલબાજ ઉર્ફે અરબાજ ફારૂકભાઈ કટારીયા (રહે. કાલાવડ નાકા બહાર, ખાટકી વાડ, જામનગર) હોવાનું સામે આવ્યું છે. આરોપીના કબજામાંથી કુલ ચાર ચોરાયેલા વાહનો મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત ₹1,40,000/- થાય છે.

આ મામલે પો.હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઝાલા દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપીને વધુ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

એક નહીં, ચાર-ચાર ગુનાઓનો ભેદ ઉકેલાયો

આ કાર્યવાહી દરમિયાન જામનગર શહેરના ચાર અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. જેમાં જામનગર સિટી A, B અને C ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓનો સમાવેશ થાય છે. તમામ ગુનાઓ BNS કલમ 303(2) (વાહન ચોરી) હેઠળ નોંધાયેલા હતા.

એક આરોપી હજુ ફરાર

આ કેસમાં એક વધુ આરોપી અનવર ઉર્ફે અનુ ઉર્ફે ચકેડી ઇસ્માઈલભાઈ સીપાઈ (રહે. ગુલાબનગર વાંઝાવાસ, જામનગર) હાલ ફરાર હોવાનું બહાર આવ્યું છે. પોલીસ દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ ચોંકાવનાર

પકડાયેલ આરોપી અલબાજ ઉર્ફે અરબાજ ફારૂકભાઈ કટારીયા સામે અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. જેમાં ચોરી, મારામારી, જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવી, GP એક્ટ તથા એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા તે વ્યાવસાયિક વાહન ચોર હોવાનું પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે.

એલ.સી.બી.ની કામગીરીને સરાહના

જામનગર એલ.સી.બી. દ્વારા કરાયેલ આ કામગીરીથી શહેરમાં વાહન ચોરી કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા કોઈપણ તત્વને બક્ષવામાં નહીં આવે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતત સક્રિય હોવાનું આ કાર્યવાહીથી સાબિત થયું છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!