અહેવાલ: અશ્વિન પટેલ, ડાંગ
પ્રજાનું કલ્યાણ થાય તે હેતુથી લોકહિતાર્થ કાર્યને પ્રાથમિકતા આપવી એ જ સુશાસનનું મૂળ તત્ત્વ છે. આ સુશાસનના વિચારને ખરા અર્થમાં જીવનમાં ઉતારનાર ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતી નિમિત્તે રાજ્યભરમાં ‘સુશાસન દિવસ: અટલ નેતૃત્વ, અવિરત વિકાસ’ થીમ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ અન્વયે ડાંગ જિલ્લાના આહવા સ્થિત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે તારીખ ૧૬ થી ૨૪ ડિસેમ્બર દરમિયાન સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ. યુ.કે. ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી સૂચનાના અનુસંધાને અટલ બિહારી વાજપેયીના વ્યક્તિત્વ, વિચારો અને યોગદાનને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાના હેતુથી વિવિધ શૈક્ષણિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
સપ્તધારાની વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત કોલેજ ખાતે કાવ્યપઠન, કાવ્યલેખન, નિબંધલેખન તેમજ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાવ્યપઠન સ્પર્ધામાં આઠ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં નિમ્બારે હેતલબેને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. કાવ્યલેખન સ્પર્ધામાં રાસ્તી ત્રિવેદીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે નિબંધલેખન સ્પર્ધામાં નાયક હેતલબે પ્રથમ ક્રમે રહ્યા હતા.
આ ઉપરાંત, વિદ્યાર્થીઓને અટલ બિહારી વાજપેયીના વિચારો અને કાર્યોથી માહિતગાર કરવા માટે વિશેષ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાળા અંતર્ગત ત્રણ વિશિષ્ટ વિષયો પર નિષ્ણાત વ્યાખ્યાતાઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
પ્રોફેસર ઉમેશ હડસજીએ અટલ બિહારી વાજપેયીના રાજકીય જીવન અને નેતૃત્વ વિષે વ્યાખ્યાન આપતાં જણાવ્યું હતું કે અટલજી સિદ્ધાંતવાદી, સંયમી, દૂરદર્શી અને લોકશાહી મૂલ્યોના પ્રબળ સમર્થક હતા. વિરોધમાં હોય કે સત્તામાં, તેમણે હંમેશા મર્યાદિત ભાષા, સ્વસ્થ ચર્ચા અને સર્વદલીય સહમતિની પરંપરાને મજબૂત કરી હતી. તેમનું વ્યક્તિત્વ આજની યુવા પેઢી માટે પ્રેરણાસ્રોત છે.
પ્રોફેસર દિલીપ ગાવિતે અટલ બિહારી વાજપેયીની કાવ્યદૃષ્ટિ અને સાહિત્યિક યોગદાન પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે અટલજી માત્ર એક રાજનેતા નહીં પરંતુ સંવેદનશીલ કવિ પણ હતા. તેમની કવિતાઓમાં રાષ્ટ્રપ્રેમ, માનવીય સંવેદના, શાંતિ અને આશાનો સ્વર સ્પષ્ટ રીતે જોવા મળે છે. “હાર નહીં માનૂંગા” જેવી રચનાઓ જીવનમાં સંઘર્ષ સામે અડગ રહેવાની પ્રેરણા આપે છે.
પ્રોફેસર પિંટિયા મહલાએ અટલ બિહારી વાજપેયીના રાષ્ટ્રનિર્માણમાં યોગદાન પર વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન તરીકે અટલજીએ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના, પરમાણુ આત્મનિર્ભરતા, સશક્ત વિદેશ નીતિ અને ગઠબંધન રાજકારણને સ્થિરતા આપી ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપી હતી. વિકાસ, સુરક્ષા અને લોકશાહીના સંતુલન પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોલેજના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સ્ટાફે સક્રિય ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીશ્રીના સંકલ્પને સાકાર કરવા અને સુશાસનના મૂલ્યોને સમાજમાં વ્યાપક બનાવવા સહભાગિતાથી શ્રેષ્ઠ સેવા આપવા માટે સૌને અનુરોધ કરવામાં આવ્યો હતો.






