“75 લાખના તોડના આક્ષેપ સંપૂર્ણ પાયાવિહોણા” જિલ્લા કલેક્ટરના ખુલાસાથી ભાજપ સાંસદ મનસુખ વસાવાના આરોપો ખોટા સાબિત થયા : ધારાસભ્ય ચૈતર વસાવા

SHARE:

રિપોર્ટર : ભાવિક પટેલ, અમદાવાદ

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ભાજપના ભરૂચ સાંસદ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવેલા 75 લાખ રૂપિયાના તોડના ગંભીર આક્ષેપો પર હવે મોટો વળાંક આવ્યો છે. જિલ્લા વડા કલેક્ટરે જાહેરમાં સ્પષ્ટતા કરી દીધી છે કે આક્ષેપો સંપૂર્ણપણે પાયાવિહોણા અને અસત્ય છે. કલેક્ટરના આ ખુલાસા બાદ ભાજપ સાંસદના આરોપો ખોટા સાબિત થયા હોવાનું ચૈતર વસાવાએ મીડિયાને જણાવ્યું હતું.

આ સમગ્ર મામલે ધારાસભ્ય ચૈતર વસાવા જિલ્લા કલેક્ટરને મળ્યા બાદ મીડિયાસમક્ષ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મારા પર 75 લાખ રૂપિયાનો તોડ કરવાનો આરોપ લગાવ્યો હતો, જે ખૂબ જ ગંભીર અને મારી રાજકીય પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનાર હતો. સત્ય બહાર લાવવા માટે અમે જિલ્લા કલેક્ટરને મળ્યા હતા અને આજે તમામની હાજરીમાં કલેક્ટરે સ્પષ્ટપણે જણાવ્યું કે મારા પર લગાવવામાં આવેલા આક્ષેપો ખોટા છે અને તેનો કોઈ આધાર નથી.

ચૈતર વસાવાએ કહ્યું કે જનપ્રતિનિધિ તરીકે મારી ફરજ છે કે જાહેર નાણાં ક્યાં અને કેવી રીતે ખર્ચાય છે તેની માહિતી માંગું. વડાપ્રધાનના ડેડીયાપાડા ખાતે યોજાયેલા કાર્યક્રમના ખર્ચ અંગે મેં માત્ર માહિતી માગી હતી. જનતાના પૈસાથી કાર્યક્રમ યોજાયો હોય તો તેની વિગતો માંગવી કોઈ ગુનો નથી, પરંતુ આ મુદ્દાને લઈ મારા પર વ્યક્તિગત અને ખોટા આરોપો લગાવવામાં આવ્યા.

તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ 15 નવેમ્બરના રોજ યોજાયો હતો અને ત્યારબાદ સંકલનની બેઠકમાં તેના ખર્ચ અંગે માહિતી આપવામાં આવી હતી. આ માહિતી જનતા સમક્ષ મુકવામાં આવી છે, તો પછી આ બાબતે મનસુખ વસાવાને શા માટે વાંધો છે તે સમજાતું નથી. અગાઉ પણ મેં મનરેગા કૌભાંડ અને નલ સે જલ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દાઓ ઉજાગર કર્યા હતા, ત્યારે પણ કેટલાક લોકોને અસ્વસ્થતા થઈ હતી.

ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કરતાં જણાવ્યું કે શક્ય છે કે સંબંધિત કોન્ટ્રાક્ટરો ભાજપ સાંસદના નજીકના હોય, જેના કારણે મારા પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે હું ધારાસભ્ય છું અને મનસુખ વસાવા સાંસદ છે. જો કોઈ રજૂઆત કે અસંમતિ હોય તો સીધી ચર્ચા થવી જોઈએ, પરંતુ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરમાં ખોટા આરોપો લગાવવામાં આવ્યા, જેના કારણે મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.

ચૈતર વસાવાએ ચેતવણી આપતાં કહ્યું કે જો ફરીથી આવા પાયાવિહોણા અને બદનામ કરનારા આક્ષેપો કરવામાં આવશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે હું જનહિતના મુદ્દાઓ ઉઠાવતો રહીશ અને કોઈ દબાણ કે ખોટા આરોપોથી ડરવાનો નથી.

આ સમગ્ર વિવાદમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરનું નામ પણ ખેંચવામાં આવ્યું હતું, પરંતુ જિલ્લા કલેક્ટરે તમામ મુદ્દાઓ પર સ્પષ્ટતા કરીને ભાજપ સાંસદના આરોપોને ખોટા સાબિત કર્યા હોવાનું ચૈતર વસાવાએ જણાવ્યું. કલેક્ટરના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને સમગ્ર મામલો હવે વધુ રાજકીય ગરમાવો પકડી રહ્યો છે.

આ પ્રકરણમાં કલેક્ટરના ખુલ્લા નિવેદનથી આમ આદમી પાર્ટીને મોટો રાજકીય બળ મળ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યારે ભાજપ માટે આક્ષેપો ખોટા સાબિત થવાથી અસહજ પરિસ્થિતિ ઊભી થઈ છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!