રિપોર્ટ: ભાવિક પટેલ.અમદાવાદ
અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કડીમાં સરખેજ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. સરખેજ–ઇસ્કોન–આંબલી બોપલ રોડ પર આવેલી મહિન્દ્રા પરમ ઓટો મોબાઇલની બાજુમાં માટી અને સુકડીના ઢગલા પાછળ પાર્ક કરેલી એક કારમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસે આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ઘટનાસ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસ મુજબ, ઝડપાયેલા આરોપીઓ પાસેથી કુલ 02 કિલો 763 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા 1,38,150/- જેટલી થાય છે.
આ ઉપરાંત પોલીસે ઘટનાસ્થળેથી ગાંજાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી કાર, મોબાઇલ ફોન, પ્લાસ્ટિકના ડબ્બા, રોકડ રકમ સહિતનો અન્ય મુદ્દામાલ પણ કબજે કર્યો છે. તમામ મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂપિયા 2,18,360/- હોવાનું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જણાવવામાં આવ્યું છે.
પકડાયેલા આરોપીઓમાં પ્રથમ નામ ગૌરવ ઉર્ફે મોનુ હસમુખલાલ ઠક્કર (ઉંમર 28) છે, જે અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. બીજો આરોપી લાવેશ પુષ્કરસિંહ જાડેજા (ઉંમર 22) છે, જે મૂળ અમરેલી જિલ્લાના વિજયનગર તાલુકાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે બંને આરોપીઓ કોઈપણ પ્રકારના પાસ કે પરમિટ વિના ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થોનું વેચાણ કરતા હતા.
આ કેસમાં ત્રીજો આરોપી હિતેશ રાજપૂત ફરાર હોવાનું પોલીસએ જણાવ્યું છે, જે ઉંઝા તાલુકો, મહેસાણા જિલ્લાનો રહેવાસી છે. તેની ધરપકડ માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે આ ગેંગ અમદાવાદ શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગાંજાનું નેટવર્ક ચલાવતી હતી અને આ હેરાફેરી પાછળ વધુ લોકો સંડોવાયેલા હોવાની શક્યતા નકારી શકાય નહીં.
આ સમગ્ર મામલે સરખેજ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કલમ 8(સી), 20(બી) અને 29 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાયેલી આ કાર્યવાહીથી શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે નશીલા પદાર્થો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે અને આવાં ઓપરેશનો ભવિષ્યમાં પણ વધુ કડક રીતે ચાલુ રહેશે. શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસે સામાન્ય નાગરિકોને પણ અપીલ કરી છે કે જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરે.






