સોમનાથ ધામે પહોંચ્યા વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસના બીજા દિવસે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના દર્શન માટે પહોંચ્યા હતા. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. મંદિર પરિસરમાં ભક્તો અને આગેવાનોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી.
મંદિર ખાતે ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ મંદિરના શિખર પર પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક કર્યો હતો. સાથે જ ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લીધો હતો. સોમનાથ ટ્રસ્ટ અને સંત મહાત્માઓની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયો હતો.
સૂર્યકિરણ એર-શો અને રોડ-શો આકર્ષણનું કેન્દ્ર
PM મોદીના આગમનને લઈને સોમનાથમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી. કાર્યક્રમ દરમિયાન વાયુસેનાના સૂર્યકિરણ એર-શો અને ભવ્ય રોડ-શો પણ યોજાયો હતો, જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
પોખરણ પરીક્ષણોનો કર્યો ઉલ્લેખ
જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ 11 મે, 1998ના પોખરણ પરમાણુ પરીક્ષણોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે તે સમય દરમિયાન વૈશ્વિક સ્તરે ભારત પર ભારે દબાણ ઊભું કરાયું હતું, છતાં દેશ પોતાના સંકલ્પ પર અડગ રહ્યો હતો.
“ભારતને કોઈ દબાવી નહીં શકે”
PM મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકશે નહીં. તેમણે જણાવ્યું કે ભારતે હંમેશા પડકારો સામે મજબૂતીથી ઉભું રહી વિશ્વમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.
આધ્યાત્મિકતા અને રાષ્ટ્રશક્તિ વચ્ચેનો સંબંધ સમજાવ્યો
સોમનાથના પવિત્ર ધામથી મોદીએ ભારતની સાંસ્કૃતિક પરંપરા, આધ્યાત્મિક શક્તિ અને વૈજ્ઞાનિક વિકાસને એકસાથે આગળ વધારવાની વાત કરી હતી. તેમણે દેશની એકતા, આત્મનિર્ભરતા અને વિકાસયાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
અંતે હર હર મહાદેવના નાદ સાથે સમાપ્ત થયું સંબોધન
ભાષણના અંતે PM મોદીએ “હર હર મહાદેવ”ના જયઘોષ સાથે સંબોધન પૂર્ણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.
વડોદરા કાર્યક્રમ માટે થયા રવાના
સોમનાથ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન વડોદરા જવા રવાના થયા હતા. જ્યાં તેઓ ‘સરદારધામ-3’ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેશે. શહેરમાં તેમના સ્વાગત માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.







