અમદાવાદ AI-171 પ્લેન ક્રેશને 11 મહિના, પીડિત પરિવારોનો આક્ષેપ – હજુ સુધી ન મળ્યું વળતર અને નોકરીનું વચન અધૂરું

SHARE:

પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ થવા આડે વધ્યો આક્રોશ
અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ બનેલી AI-171 પ્લેન ક્રેશ દુર્ઘટનાને હવે લગભગ એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે પીડિત પરિવારો દ્વારા હજુ સુધી પૂરતું વળતર અને કરાયેલ વચનો પૂર્ણ ન થતાં રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અનેક પરિવારો ન્યાય અને સ્પષ્ટ જવાબોની માંગ સાથે સતત રજૂઆતો કરી રહ્યા છે.

પીડિત પરિવારોની પ્રેસ કોન્ફરન્સ
સોલા ભાગવત વિસ્તારમાં પીડિત પરિવારો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં દુર્ઘટનાગ્રસ્ત સ્થળે એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે જમીન શુદ્ધિકરણ અને વિવિધ ધર્મના લોકો ધાર્મિક વિધિ કરી શકે તેવી મંજૂરી આપવાની માંગ પણ કરવામાં આવી હતી.

“નોકરીનું વચન આપ્યું, હવે જવાબ આપતા નથી”
પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાની પત્ની હેતલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ઘટના બાદ ટાટા ગ્રુપ અને એરલાઇન સાથે જોડાયેલા કેટલાક લોકોએ સહાય અને નોકરી આપવાની ખાતરી આપી હતી. પરંતુ 11 મહિના વીતી ગયા છતાં અનેક ઈમેલ અને સંપર્ક બાદ પણ યોગ્ય જવાબ મળતો નથી.

પરિવારનો આક્ષેપ – મેલના પણ જવાબ નથી મળતા
હેતલબેને જણાવ્યું કે સતત સંપર્ક કરવાનો પ્રયાસ છતાં કોઈ સ્પષ્ટ પ્રતિસાદ મળતો નથી. બીજી તરફ કેટલાક અન્ય પીડિત પરિવારોનું પણ કહેવું છે કે વળતર અને સહાય બાબતે યોગ્ય માહિતી આપવામાં આવી રહી નથી.

વળતર મુદ્દે પણ ઉઠ્યા સવાલો
દુર્ઘટનામાં દીકરો ગુમાવનાર એક પરિવારજનએ આક્ષેપ કર્યો કે હજુ સુધી યોગ્ય વળતર મળ્યું નથી. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી અને હવે ફોન તથા ઈમેલનો જવાબ પણ મળતો નથી.

બ્લેક બોક્સ ડેટા જાહેર કરવાની માંગ
પીડિત પરિવારો અને સામાજિક કાર્યકરોએ દુર્ઘટનાના સાચા કારણો જાણવા બ્લેક બોક્સનો ડેટા જાહેર કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે એક વર્ષ બાદ પણ અકસ્માત અંગે સંપૂર્ણ સત્ય બહાર આવ્યું નથી.

પરિવારોની સરકાર પાસે માંગ
પીડિત પરિવારોનું કહેવું છે કે સરકાર અને સંબંધિત સંસ્થાઓએ કરેલા તમામ વચનો પૂર્ણ કરવા જોઈએ. સાથે જ વળતર, નોકરી અને પારદર્શક તપાસ દ્વારા પરિવારોને ન્યાય મળે તેવી માંગ ઉઠી રહી છે.

Leave a Comment

error: Content is protected !!