નવાગામના ગોડાઉનમાં LCBનો દરોડો
સુરત જિલ્લા LCBએ કામરેજ તાલુકાના નવાગામ વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર દરોડો પાડી નકલી ઘી બનાવવાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસને ખાનગી બાતમી મળી હતી કે ‘આરાધ્યા માર્કેટીંગ એન્ડ ડેરી પ્રોડક્ટસ’ નામની ફર્મમાં ગાયના શુદ્ધ ઘીના નામે ભેળસેળયુક્ત ઘી તૈયાર કરીને બજારમાં વેચવામાં આવી રહ્યું છે.
પામ ઓઈલમાં કેમિકલ ભેળવી બનાવાતું ‘ઘી’
તપાસ દરમિયાન સામે આવ્યું કે ગોડાઉનમાં પામ ઓઈલ, વનસ્પતિ ઘી અને અન્ય તેલને પ્રોસેસ કરીને તેમાં સુગંધ અને કેમિકલ મિશ્રણ ઉમેરવામાં આવતું હતું. ત્યારબાદ તેને ‘ગાયનું શુદ્ધ ઘી’ લખેલા લેબલ સાથે પેક કરી બજારમાં સપ્લાય કરવામાં આવતું હતું.
કાયદેસર લાયસન્સનો દુરુપયોગ
પોલીસે કતારગામના રહેવાસી કિરણભાઈ ઈશ્વરભાઈ મોદીની ધરપકડ કરી છે. આરોપીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાસેથી ઘી ઉત્પાદનનું લાયસન્સ મેળવ્યું હતું, પરંતુ તે લાયસન્સની આડમાં નકલી ઘીનું ઉત્પાદન અને વેચાણ ચલાવી રહ્યો હતો.
લાખોની મશીનરી અને કાચો માલ જપ્ત
રેડ દરમિયાન પોલીસે ગોડાઉનમાંથી મોટી માત્રામાં કાચો માલ અને મશીનરી જપ્ત કરી છે. જેમાં પામ ઓઈલના ડબ્બા, શંકાસ્પદ ઘી, બ્લેન્ડિંગ મશીન, પેકિંગ મશીન, ઇન્ડક્શન સીલર, સ્ટોરેજ ટાંકા અને હજારો ખાલી પ્લાસ્ટિક બરણીનો સમાવેશ થાય છે.
FSLમાં મોકલાયા સેમ્પલ
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સ્થળ પર બોલાવી શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. હવે આ સેમ્પલોને FSL લેબોરેટરીમાં મોકલી વધુ તપાસ હાથ ધરાઈ છે. રિપોર્ટ બાદ આરોપી સામે વધુ ગંભીર કલમો હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
MP અને મહારાષ્ટ્ર સુધી સપ્લાયની આશંકા
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ નકલી ઘીનો જથ્થો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ સપ્લાય થતો હતો. પોલીસે સમગ્ર સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા લોકોની તપાસ શરૂ કરી છે.
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં
પોલીસના જણાવ્યા મુજબ આરોપી લાંબા સમયથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરીને નફાખોરી કરી રહ્યો હતો. તહેવારો અને સામાન્ય દિવસોમાં ‘શુદ્ધ ઘી’ના નામે ભેળસેળયુક્ત ઉત્પાદન વેચાઈ રહ્યું હતું.
નકલી ઘી કેવી રીતે ઓળખશો?
ખાદ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ આયોડિન અને હાઈડ્રોક્લોરિક એસિડની મદદથી ઘીમાં ભેળસેળ છે કે નહીં તેની ચકાસણી કરી શકાય છે. ઉપરાંત શુદ્ધ ઘીનો સુગંધ, રંગ અને ટેક્સચર પણ અલગ હોય છે. શંકાસ્પદ ઘી ખરીદતા પહેલા ગ્રાહકોએ લેબલ અને લાયસન્સ વિગતો ચકાસવી જોઈએ.







