તથ્ય પટેલને જામીન બાદ સુપ્રીમ કોર્ટની મોટી શરત
અમદાવાદના બહુચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને નિયમિત જામીન મળ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટે વધુ એક મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. જામીન આપતા પહેલા કોર્ટે તથ્ય પટેલની બોનાફાઈડ દર્શાવવા માટે નોંધપાત્ર રકમ જમા કરાવવાની શરત મૂકી છે.
સુપ્રીમ કોર્ટમાં રકમ અંગે ચર્ચા
જામીન અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલ તરફથી કોઈ વળતર કે નાણાકીય જવાબદારી દર્શાવવા અંગે અભિપ્રાય માંગ્યો હતો. જેના જવાબમાં તથ્ય પટેલના વકીલે ગુજરાત સરકારના વકીલનો અભિપ્રાય લેવા પ્રસ્તાવ મૂક્યો હતો.
સરકારના વકીલે મૃતક દીઠ 10 લાખની માંગ કરી
ગુજરાત સરકાર તરફથી રજૂઆત કરતા સરકારી વકીલે અકસ્માતમાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિ દીઠ 10 લાખ રૂપિયા જમા કરાવવાની સૂચનાત્મક માંગ કરી હતી. ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં કુલ 9 લોકોના મોત થયા હતા. આ રજૂઆત દરમિયાન તથ્ય પટેલના વકીલે પણ વાંધો વ્યક્ત કર્યો નહોતો.
સુપ્રીમ કોર્ટનો 1 કરોડ જમા કરાવવાનો આદેશ
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને ટ્રાયલ કોર્ટ સમક્ષ કુલ 1 કરોડ રૂપિયાની લમ્પસમ રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. આ રકમ જામીનની શરતના ભાગરૂપે જમા કરાવવાની રહેશે.
પોણા ત્રણ વર્ષ બાદ મળ્યા નિયમિત જામીન
તથ્ય પટેલને લગભગ પોણા ત્રણ વર્ષ બાદ નિયમિત જામીન મળ્યા છે. જુલાઈ 2023માં બનેલી આ દુર્ઘટના બાદ તે સતત જેલમાં હતો. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે ટ્રાયલ હજુ પૂર્ણ થઈ નથી અને આરોપી હજુ દોષિત જાહેર થયો નથી.
આંખે દેખ્યા સાક્ષીઓની તપાસ પૂર્ણ
હાલ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કેસની ટ્રાયલ ચાલી રહી છે. કેસમાં કુલ 191 જેટલા સાક્ષીઓ નોંધાયેલા છે. જેમાંથી ઘટનાના આંખે દેખ્યા મહત્વપૂર્ણ સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે.
7 દિવસમાં દાખલ થઈ હતી ચાર્જશીટ
અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ઘટના બન્યાના માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ દાખલ કરી હતી. તથ્ય પટેલ સામે IPCની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો અને ત્યારથી કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.
શું હતો ઇસ્કોન બ્રિજ અકસ્માત?
19 જુલાઈ 2023ની મધરાત્રિએ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માત બાદ લોકો ઘટનાસ્થળે ભેગા થયા હતા. તે દરમિયાન તથ્ય પટેલની જેગુઆર કાર પૂરપાટ ઝડપે આવી અને અનેક લોકોને અડફેટે લીધા હતા. આ ભયાનક ઘટનામાં 9 લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાએ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ભારે ચર્ચા જગાવી હતી.
હવે સૌની નજર ટ્રાયલ પર
સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ હવે સૌની નજર ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી પર છે. આગામી દિવસોમાં બાકીના સાક્ષીઓની તપાસ અને પુરાવાઓના આધારે કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવી શકે છે.







