જંતર-મંતર પર CJPનું વિશાળ પ્રદર્શન, શિક્ષણ વ્યવસ્થાને લઈને ઉઠ્યા સવાલો
દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. દેશભરની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ, પેપર લીક અને ભરતી પ્રક્રિયા અંગે ઉઠેલા પ્રશ્નોને લઈને યુવાનો રસ્તા પર ઉતર્યા હતા. આંદોલનનું મુખ્ય કેન્દ્ર કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ રહ્યું.
વિદેશથી પરત ફર્યા બાદ સીધા પ્રદર્શનમાં પહોંચ્યા અભિજીત દીપકે
CJPના સ્થાપક અભિજીત દીપકે વિદેશથી ભારત પરત ફર્યા બાદ સીધા જ જંતર-મંતર પહોંચીને આંદોલનમાં ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું કે આ લડત માત્ર એક વ્યક્તિ કે સંસ્થા માટે નહીં પરંતુ દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે છે. તેમણે સમર્થકોને સંબોધતા કહ્યું કે યુવાનોના પ્રશ્નો સામે સરકાર જવાબદાર બને તે માટે આંદોલન જરૂરી છે.
સોનમ વાંગચુકે આપ્યો સમર્થન
લદ્દાખના જાણીતા સામાજિક કાર્યકર અને પર્યાવરણપ્રેમી સોનમ વાંગચુક પણ આ પ્રદર્શનમાં જોડાયા હતા. તેમના આગમન બાદ પ્રદર્શનને વધુ વેગ મળ્યો હતો. યુવાનોના પ્રશ્નો અને શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતાની માંગને તેમણે મહત્વપૂર્ણ ગણાવી હતી.
CPI(ML) નેતાએ પણ વ્યક્ત કર્યો ટેકો
CPI(ML) લિબરેશનના મહાસચિવ દીપંકર ભટ્ટાચાર્ય પણ પ્રદર્શન સ્થળે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે યુવાનોમાં બેરોજગારી, પેપર લીક અને સરકારી શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિને લઈને ભારે અસંતોષ છે. તેમણે કેન્દ્ર સરકારને આ મુદ્દાઓ પર જવાબ આપવા અને જવાબદારી સ્વીકારવાની માંગ કરી હતી.
દિલ્હી પોલીસે 6 લોકોની અટકાયત કરી
પ્રદર્શન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દિલ્હી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસને સમર્થકો અને વિરોધીઓ વચ્ચે તણાવ સર્જાવાની શક્યતા અંગે માહિતી મળી હતી. તેના આધારે 6 લોકોને સાવચેતીના પગલાં રૂપે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ કેટલાક લોકો પ્રદર્શન સ્થળ નજીક ગડબડ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં રહી હતી.
‘અમારી પોસ્ટ ડિલીટ કરી શકો, અવાજ નહીં’ : અભિજીત દીપકે
પ્રદર્શન દરમિયાન અભિજીત દીપકેએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે તેમની માંગણીઓ સાંભળવાને બદલે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને પોસ્ટ્સને નિશાન બનાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે કોઈ પણ આંદોલનને સોશિયલ મીડિયા પરથી દૂર કરી શકાય, પરંતુ યુવાનોના અવાજને દબાવી શકાય નહીં.
‘અમે જીવંત છીએ અને લડતા રહીશું’
સમર્થકોને સંબોધતા દીપકેએ કહ્યું કે લોકો પૂછે છે કે આંદોલનોથી શું મળે છે, પરંતુ આવા કાર્યક્રમો એ સાબિત કરે છે કે યુવાનો હજુ જીવંત છે અને પોતાના અધિકારો માટે લડવા તૈયાર છે. તેમણે ઉમેર્યું કે સરકાર માટે કદાચ તેઓ સામાન્ય લોકો હોય, પરંતુ પોતાના હક્ક માટે લડવાની તેમની ક્ષમતા યથાવત છે.
જેલ જવાની તૈયારી હોવાનો દાવો
દીપકેએ કહ્યું કે દિલ્હી પહોંચતા પહેલા જ તેમણે સંભવિત અટકાયત અથવા કાનૂની કાર્યવાહી માટે પોતાને માનસિક રીતે તૈયાર કરી લીધા હતા. તેમણે દાવો કર્યો કે ભય અને દબાણ છતાં દેશના યુવાનો અને વિદ્યાર્થીઓએ પોતાના પ્રશ્નો ઉઠાવવાનું બંધ કર્યું નથી.
યુવા આંદોલન તરીકે ઉભરી રહ્યું છે CJP
શરૂઆતમાં સોશિયલ મીડિયા પર વ્યંગાત્મક અભિયાન તરીકે શરૂ થયેલું CJP હવે યુવાનોના રાજકીય અને સામાજિક મુદ્દાઓ સાથે જોડાયેલા મોટા આંદોલન તરીકે સામે આવી રહ્યું છે.સંસ્થાનો દાવો છે કે દેશભરમાં લાખો યુવાનો તેમની સાથે જોડાયેલા છે અને શિક્ષણ, બેરોજગારી તેમજ મોંઘવારી જેવા મુદ્દાઓ પર જવાબદારી નક્કી કરાવવા માટે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
શાંતિપૂર્ણ વિરોધ માટે અપાઈ સૂચનાઓ
આંદોલન પહેલા આયોજકોએ તમામ ભાગ લેનારાઓને શિસ્ત જાળવવા, રાષ્ટ્રીય ધ્વજ અને પુસ્તકો સાથે આવવા તેમજ કોઈ પણ પ્રકારની ઉશ્કેરણીથી દૂર રહેવાની અપીલ કરી હતી. આખા કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.






