વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 15 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયામાં સ્થાન
ભારતીય ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચાયો છે. માત્ર 15 વર્ષ અને 71 દિવસની ઉંમરે વૈભવ સૂર્યવંશીની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ તે ભારત માટે પસંદ થનાર સૌથી યુવા ક્રિકેટર બની ગયો છે. વૈભવને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની આવનારી T20 શ્રેણી તેમજ એશિયન ગેમ્સ માટેની ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. તેની પસંદગી બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં તેની ચર્ચા થઈ રહી છે.
શેફાલી અને સચિનનો રેકોર્ડ પાછળ છૂટ્યો
અત્યાર સુધી ભારતીય ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરે ટીમમાં પસંદ થવાનો રેકોર્ડ શેફાલી વર્માના નામે હતો. જ્યારે પુરુષ ક્રિકેટમાં આ સિદ્ધિ સચિન તેંડુલકરના નામે નોંધાયેલી હતી. હવે વૈભવે બંને મહાન ખેલાડીઓનો રેકોર્ડ તોડી સૌથી યુવા પસંદગીનો નવો માપદંડ સ્થાપિત કર્યો છે. ક્રિકેટ નિષ્ણાતો આ સિદ્ધિને ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક ક્ષણ ગણાવી રહ્યા છે.
ડેબ્યૂ કરવાની તક મળશે તો વધુ એક રેકોર્ડ
જો વૈભવને આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ સામેની શ્રેણી અથવા એશિયન ગેમ્સ દરમિયાન એક પણ મેચ રમવાની તક મળે તો તે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી યુવા ખેલાડી પણ બની જશે. આ સિદ્ધિ તેને ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં વિશેષ સ્થાન અપાવી શકે છે.
શ્રેયસ અય્યરને મળી T20 ટીમની કમાન
ભારતીય ક્રિકેટ બોર્ડે T20 ફોર્મેટમાં પણ મોટો નિર્ણય લીધો છે. શ્રેયસ અય્યરને ભારતીય T20 ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તિલક વર્માને ઉપ-કેપ્ટન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ અગાઉ T20 વર્લ્ડ કપ જીતાડનાર સૂર્યકુમાર યાદવને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી, જે પસંદગીની સૌથી મોટી ચર્ચા બની છે.
IPLમાં ધમાકેદાર પ્રદર્શનનો મળ્યો ઈનામ
વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં શાનદાર રમત દેખાડી હતી. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેણે 776 રન ફટકારીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. તે ઉપરાંત તેણે સૌથી મૂલ્યવાન ખેલાડી, ઇમર્જિંગ પ્લેયર, સુપર સ્ટ્રાઈકર અને સૌથી વધુ છગ્ગા ફટકારવાના એવોર્ડ પણ જીત્યા હતા.
છગ્ગાઓનો વરસાદ કરીને બન્યો ચર્ચાનો વિષય
વૈભવે સમગ્ર સિઝનમાં રેકોર્ડબ્રેક છગ્ગાઓ ફટકાર્યા હતા. તેની આક્રમક બેટિંગ શૈલી અને નિડર અભિગમના કારણે તે દેશ-વિદેશના ક્રિકેટ ચાહકોમાં લોકપ્રિય બન્યો છે. એક મેચમાં માત્ર 36 બોલમાં સદી ફટકારીને તેણે ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું હતું. અનેક વખત તે સદીની નજીક પહોંચ્યો હતો અને વિરોધી બોલરો માટે માથાનો દુખાવો બન્યો હતો.
અફઘાનિસ્તાન સામેની વન-ડે શ્રેણીમાં કોહલી બહાર
ભારતીય ટીમ માટે બીજી મહત્વની ખબર એ છે કે વિરાટ કોહલી ઇજાના કારણે અફઘાનિસ્તાન સામેની વન-ડે શ્રેણીમાંથી બહાર થયો છે. તેના સ્થાને યશસ્વી જયસ્વાલને તક આપવામાં આવી છે. પસંદગી સમિતિના જણાવ્યા મુજબ કોહલીની ગેરહાજરીમાં જયસ્વાલ ટીમને વધુ મજબૂતી આપશે.
ભારતીય ક્રિકેટને મળ્યો નવો સ્ટાર
માત્ર 15 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દરવાજા સુધી પહોંચેલો વૈભવ સૂર્યવંશી હવે સમગ્ર દેશની આશાનું કેન્દ્ર બન્યો છે. ક્રિકેટ ચાહકોની નજર હવે તેની ડેબ્યૂ મેચ પર રહેશે, કારણ કે તે મેદાનમાં ઉતરતા જ વધુ એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.






