સતલાસણા ના ભાણવાસ ડેરીમાં દાદાગીરીનો દૂધિયો વિસ્ફોટ! પશુપાલકોએ રસ્તા પર ઢોળ્યું દૂધ, તંત્ર સામે ઉઠ્યા સવાલો

SHARE:

અહેવાલ : મૂળજીભાઈ ગોસાઈ (સતલાસણા)

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ભાણવાસ ગામમાં સ્થાનિક દૂધ ડેરીના વહીવટને લઈને લાંબા સમયથી ચાલી રહેલો અસંતોષ હવે ખુલ્લા વિરોધમાં ફેરવાયો છે. ડેરીના સંચાલન અને વહીવટ સામે નારાજ થયેલા પશુપાલકોએ ડેરી આગળ દૂધ ઢોળી વિરોધ નોંધાવતા સમગ્ર વિસ્તારમાં આ ઘટનાની ચર્ચા શરૂ થઈ છે.

મળતી માહિતી મુજબ છેલ્લા ચાર દિવસથી ભાણવાસ ગામના અનેક પશુપાલકોનું દૂધ સ્થાનિક ડેરી દ્વારા સ્વીકારવામાં આવતું ન હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે દરરોજ અંદાજે 300 થી 400 લીટર દૂધ વેચાણ વગર રહી જતું હોવાની સ્થિતિ સર્જાઈ હતી. પશુપાલકોનું કહેવું છે કે દૂધ ન સ્વીકારાતા તેમને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

પશુપાલકોના જણાવ્યા અનુસાર, દૂધ ઉત્પાદન તેમનો મુખ્ય વ્યવસાય અને આવકનો સ્ત્રોત છે. આવી સ્થિતિમાં ડેરી દ્વારા દૂધ લેવામાં ઇનકાર કરાતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પરિણામે કેટલાક પશુપાલકોને ખાનગી વાહનો ભાડે કરીને અન્ય સ્થળે દૂધ મોકલવાની ફરજ પડી હતી. જોકે વધતા ખર્ચ અને મુશ્કેલીઓના કારણે આખરે પશુપાલકોએ ડેરી સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો હતો.

વિરોધ દરમિયાન રોષે ભરાયેલા પશુપાલકોએ ડેરી આગળ દૂધ ઢોળી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ડેરી આગળ દૂધની નદીઓ વહેતી જોવા મળતા સમગ્ર ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. પશુપાલકોનું કહેવું છે કે તેમની વારંવારની રજૂઆતો છતાં ડેરીના જવાબદારો દ્વારા કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી.

વિવાદનું મુખ્ય કારણ ડેરીના સંચાલન અને વહીવટી વ્યવસ્થા હોવાનું પણ પશુપાલકો જણાવી રહ્યા છે. પશુપાલકોના આક્ષેપ મુજબ છેલ્લા લગભગ 40 વર્ષથી ડેરીના સભાસદો અને પ્રમુખપદમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નથી. નિયમો મુજબ નિશ્ચિત સમયગાળાએ ચૂંટણી અને વહીવટી ફેરબદલ થવા જોઈએ, પરંતુ ભાણવાસ ડેરીમાં આ પ્રક્રિયા યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવતી નથી તેવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

પશુપાલકોના જણાવ્યા અનુસાર તાજેતરમાં યોજાયેલી ડેરીની બેઠકમાં કેટલાક સભ્યોએ આ મુદ્દો ઉઠાવી વહીવટી પારદર્શિતા અને નિયમિત ચૂંટણી અંગે પ્રશ્નો પૂછ્યા હતા. આ દરમિયાન વાતાવરણ ગરમાયું હતું અને રજૂઆત કરનારા કેટલાક લોકોને બેઠકમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.

ઘટનાને પગલે ગામમાં ડેરીના વહીવટ સામે અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પશુપાલકોનું કહેવું છે કે ડેરી જેવી સહકારી સંસ્થાઓ ખેડૂતો અને પશુપાલકોના હિત માટે કાર્ય કરતી હોય છે, પરંતુ જો તેમની સમસ્યાઓ સાંભળવામાં નહીં આવે તો સહકારી માળખા પર જ પ્રશ્નો ઉભા થાય છે.

હાલ પશુપાલકો દ્વારા સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાના સહકારી વિભાગના અધિકારીઓ તેમજ જિલ્લા તંત્ર સમક્ષ રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. સાથે જ ડેરીના વહીવટ, સભાસદોની પ્રક્રિયા અને ચૂંટણી વ્યવસ્થાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.

ભાણવાસ ગામમાં સર્જાયેલા આ વિવાદ બાદ હવે તંત્ર શું કાર્યવાહી કરે છે અને પશુપાલકોની સમસ્યાનો શું ઉકેલ આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે. ગામના પશુપાલકોનું સ્પષ્ટ કહેવું છે કે તેમની સાથે ન્યાય થાય અને દૂધ સ્વીકારવાની પ્રક્રિયા તાત્કાલિક પુનઃ શરૂ કરવામાં આવે તે જરૂરી છે, નહીં તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!