અંબાજીમાં પોલીસ પર હુમલાથી ચકચાર
યાત્રાધામ અંબાજીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વોર્ડ નંબર 8 વિસ્તારમાં નશામાં ધુત અસામાજિક તત્વોએ માત્ર એક નાગરિકને જ નહીં પરંતુ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને PCR વાનને પણ નિશાન બનાવી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
અકસ્માત બાદ પૈસા પડાવવાનો પ્રયાસ
સ્થાનિક રહીશ બદારામ પંચાલના જણાવ્યા મુજબ તેઓ પોતાની પત્ની સાથે હોસ્પિટલથી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે પાછળથી ઝડપભેર આવેલી બાઈક પર સવાર ત્રણ શખ્સોએ તેમની બાઈકને ટક્કર મારી હતી. ટક્કર બાદ ત્રણેય યુવકો નીચે પડી ગયા હતા અને બાદમાં બદારામ પંચાલને પકડીને પૈસાની માંગણી કરવા લાગ્યા હતા. ભોગ બનનારના જણાવ્યા પ્રમાણે ત્રણેય વ્યક્તિઓ નશાની હાલતમાં હતા. તેઓ કોઈ રીતે બચીને નજીકના એક ઘરમાં ઘૂસી ગયા હતા.
પોલીસ પહોંચી તો પોલીસ પર જ હુમલો
ઘટનાની જાણ થતાં જ પોલીસ-PCR વાન સ્થળ પર પહોંચી હતી. પરંતુ આરોપીઓએ પોલીસને જોઈને ઉશ્કેરાટભર્યું વર્તન શરૂ કર્યું હતું. તેમણે હાથમાં રહેલી લાકડીઓ અને પથ્થરો વડે PCR વાન તેમજ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. વાયરલ વીડિયોમાં આરોપીઓ પોલીસને ધમકાવતા, ગાળો આપતા અને પથ્થરમારો કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોએ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષનું વાતાવરણ સર્જ્યું છે.
વીડિયો વાયરલ થતાં લોકોમાં ડરનો માહોલ
ઘટનાનો વીડિયો બનાવનાર વ્યક્તિ વીડિયોમાં કહેતો સંભળાય છે કે તેને ડર લાગી રહ્યો છે અને આવા તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં સ્થાનિક લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
બે આરોપીની અટકાયત, એક ફરાર
પોલીસ પર હુમલાની ઘટનાને ગંભીરતાથી લઈ અંબાજી અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે હુમલાખોર ત્રણ પૈકી બે આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે એક આરોપીની શોધખોળ હજુ પણ ચાલુ છે.
સામાન્ય નાગરિકોની સુરક્ષા સામે સવાલ
સ્થાનિક લોકોનું કહેવું છે કે અંબાજીમાં પોલીસ પર હુમલાની આ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ આવા બનાવો બન્યા છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પોલીસ અને PCR વાન જ સુરક્ષિત નથી તો સામાન્ય નાગરિકોની સુરક્ષા કોના ભરોસે? સ્થાનિકોએ અસામાજિક તત્વો સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી છે.







