લખનઉમાં સુરતના તક્ષશીલા જેવી દુર્ઘટના: એનિમેશન સેન્ટરમાં ભીષણ આગ, 15 વિદ્યાર્થીઓના મોત

SHARE:

લખનઉમાં તક્ષશીલા જેવી કરુણ દુર્ઘટના

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સોમવારે બપોરે અલીગંજ વિસ્તારમાં આવેલી એક બહુહેતુક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા હાહાકાર મચી ગયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ સુરતના તક્ષશીલા અગ્નિકાંડની કરુણ યાદ તાજી કરી દીધી છે.

બિલ્ડિંગમાં કોચિંગ અને એનિમેશન સ્ટુડિયો ચાલતો હતો

માહિતી અનુસાર બિલ્ડિંગના બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ પર પેટ શોપ અને ક્લિનિક કાર્યરત હતા. જ્યારે બીજા માળે ‘લર્નિંગ સ્પેસ’ નામની લાઇબ્રેરી અને કોચિંગ સેન્ટર તેમજ ‘હેડ હોપર સ્ટુડિયો’ નામનું 3D આર્ટ અને ગેમ ડિઝાઇનિંગ સેન્ટર ચાલતું હતું. આગ ફેલાતા ઉપરના માળે હાજર વિદ્યાર્થીઓ ધુમાડામાં ફસાઈ ગયા હતા.

બચવા માટે વિદ્યાર્થીઓ બાથરૂમમાં છુપાયા

પ્રાથમિક માહિતી મુજબ આગ અને ધુમાડાથી બચવા માટે અનેક વિદ્યાર્થીઓએ પોતાને બાથરૂમમાં બંધ કરી દીધા હતા. ભારે ધુમાડાના કારણે બહાર નીકળવાનો રસ્તો ન મળતા ઘણા વિદ્યાર્થીઓ ગૂંગળાઈ ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક વિદ્યાર્થીએ જીવ બચાવવા માટે પ્રથમ માળેથી છલાંગ મારી હતી, પરંતુ નીચે આવેલી લોખંડની ગ્રીલ પર પટકાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો.

શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા

હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જોકે બેઝમેન્ટમાં આવેલા એર કન્ડીશનરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની આશરે 10થી વધુ ગાડીઓ, NDRF અને SDRFની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

દીવાલ તોડીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા

બિલ્ડિંગમાં ભારે ધુમાડો ભરાઈ જતાં બચાવ ટીમોને અંદર પ્રવેશવામાં મુશ્કેલી પડી હતી. જેના કારણે ફાયર ફાઈટરોએ બિલ્ડિંગની પાછળની દીવાલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. રેસ્ક્યૂ દરમિયાન અનેક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.

ગૂંગળામણથી મોત થયાની આશંકા

કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU)ના તબીબોના જણાવ્યા મુજબ મૃતદેહો પર બહારથી દાઝ્યાના નિશાન ખૂબ ઓછા જોવા મળ્યા છે. જેના આધારે પ્રાથમિક રીતે ગૂંગળામણ અને ઝેરી ધુમાડાના કારણે મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંતિમ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે.

ડેપ્યુટી CM બ્રજેશ પાઠક રડી પડ્યા

ઘટનાસ્થળે પહોંચેલા ઉત્તર પ્રદેશના ડેપ્યુટી મુખ્યમંત્રી બ્રજેશ પાઠક ઘટના જોઈને ભાવુક બની ગયા હતા. તેમણે કહ્યું કે, “મારી નજર સામે મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા હતા. આ અત્યંત પીડાદાયક ઘટના છે.”

PM મોદીની સહાયની જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનોને PM રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય અને ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે.

CM યોગીએ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલીગઢનો કાર્યક્રમ અધવચ્ચે છોડીને લખનઉ પરત ફરવાનો નિર્ણય લીધો હતો. તેમણે DGP અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓને ઘટનાની તાત્કાલિક તપાસ કરીને અહેવાલ સોંપવાના નિર્દેશ આપ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!