સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડી પાડવાનો નિર્ણય શક્ય: પિલરમાં પણ તિરાડો દેખાતા કન્સલ્ટન્ટનો અભિપ્રાય

SHARE:

સુભાષ બ્રિજને લઈને આજે થઈ શકે છે મોટો નિર્ણય

અમદાવાદના મહત્વપૂર્ણ સુભાષ બ્રિજને લઈને આજે મ્યુનિસિપલ તંત્ર મોટો નિર્ણય લઈ શકે છે. અત્યાર સુધી માત્ર સ્પાન અને સુપર સ્ટ્રક્ચર તોડવાની યોજના હતી, પરંતુ હવે પિલરોની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થતાં સમગ્ર બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવાનો વિકલ્પ ચર્ચામાં આવ્યો છે.

ગર્ડર અને પિલરમાં જોવા મળી તિરાડો

ડિમોલીશન કામગીરી દરમિયાન બ્રિજના ગર્ડર તેમજ કેટલાક પિલરમાં તિરાડો જોવા મળી હોવાનું સામે આવ્યું છે. બ્રિજ 60 વર્ષથી વધુ જૂનો હોવાથી તેની સ્ટ્રક્ચરલ મજબૂતી અંગે નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે.

કન્સલ્ટન્ટોના જણાવ્યા અનુસાર, હાલની સ્થિતિમાં માત્ર ઉપરનો ભાગ તોડવાથી ભવિષ્યમાં સલામતીના પ્રશ્નો ઉભા થઈ શકે છે. તેથી સંપૂર્ણ બ્રિજ અને પિલરનું પુનઃનિર્માણ વધુ યોગ્ય વિકલ્પ ગણાવવામાં આવ્યો છે.

IIT સહિતના નિષ્ણાતોએ આપી ભલામણ

સુભાષ બ્રિજ મામલે IIT ગાંધીનગર, IIT રૂડકી તેમજ બ્રિજ નિષ્ણાત મહેશ ટંડન સહિત વિવિધ સંસ્થાઓ અને કન્સલ્ટન્ટો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો હતો. નિષ્ણાતોના મતે લાંબા ગાળે સુરક્ષા અને ટકાઉપણાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ ડિમોલીશન અને નવા બ્રિજનું નિર્માણ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

AMC આજે અંતિમ નિર્ણય લઈ શકે

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને અધિકારીઓ વચ્ચે આજે મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. જેમાં બ્રિજના પિલર સહિત સમગ્ર માળખું તોડવું કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. જો સંપૂર્ણ ડિમોલીશનનો નિર્ણય લેવાશે તો પ્રોજેક્ટનો ખર્ચ અને સમયગાળો બંનેમાં વધારો થશે.

વધારાનો ખર્ચ પ્રજાના માથે આવશે

સૂત્રોના જણાવ્યા મુજબ, પિલર સહિત સમગ્ર બ્રિજ તોડવાના નિર્ણયથી અંદાજે 4 થી 5 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થઈ શકે છે. આ ખર્ચ અંતે જાહેર નાણાંમાંથી કરવામાં આવશે, જેના કારણે AMCની કામગીરી અને આયોજન અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ

AMC દ્વારા અગાઉ જ 235 કરોડ રૂપિયાના ખર્ચે નવા અને વધુ પહોળા બ્રિજને મંજૂરી આપવામાં આવી છે. પ્રારંભિક આયોજન મુજબ નવો બ્રિજ જાન્યુઆરી 2027 સુધીમાં તૈયાર થવાનો હતો, પરંતુ હવે સંપૂર્ણ ડિમોલીશનના નિર્ણય બાદ આ સમયમર્યાદા આગળ વધીને એપ્રિલ 2027 કે ત્યારબાદ સુધી પહોંચી શકે છે.

ડિસેમ્બર 2025માં સામે આવી હતી ગંભીર ખામી

4 ડિસેમ્બર 2025ના રોજ સુભાષ બ્રિજમાં તિરાડો પડવાની અને એક સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના સામે આવી હતી. તે બાદ AMCએ બ્રિજને તાત્કાલિક વાહનવ્યવહાર માટે બંધ કરી દીધો હતો અને વિવિધ એન્જિનિયરિંગ સંસ્થાઓ દ્વારા તેની તપાસ શરૂ કરાવવામાં આવી હતી. તપાસ દરમિયાન બ્રિજની હાલત ચિંતાજનક હોવાનું સામે આવતા આખરે નવા બ્રિજના નિર્માણનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

શહેરના ટ્રાફિક પર લાંબા સમય સુધી અસર

સુભાષ બ્રિજ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોને જોડતો મહત્વનો માર્ગ છે. બ્રિજ લાંબા સમય સુધી બંધ રહેતા આસપાસના માર્ગો પર ટ્રાફિકનું ભારણ સતત વધી રહ્યું છે. હવે સંપૂર્ણ ડિમોલીશનનો નિર્ણય લેવાય તો શહેરના લાખો વાહનચાલકોને વધુ લાંબા સમય સુધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!