અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને જામીન, પરંતુ જેલમાંથી નહીં છૂટે

SHARE:

અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય
રાજકોટ જિલ્લાના ચકચારી અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા (રીબડા)ને રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે. જોકે અન્ય ગંભીર કેસમાં સજા ભોગવતા હોવાથી હાલ તેમને જેલમાંથી મુક્તિ મળશે નહીં.
આત્મહત્યા બાદ ભાઈએ નોંધાવી હતી ફરિયાદ
મે 2025માં અમિત ખૂંટના આત્મહત્યા બાદ તેમના ભાઈ મનીષ ખૂંટે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપ મૂકાયો હતો કે અમિતને ખોટા કેસમાં ફસાવી આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવ્યો.
દુષ્કર્મનો ખોટો કેસ કરાવ્યાનો આરોપ
ફરિયાદ મુજબ, આરોપીઓએ એક સગીરાને આગળ કરીને અમિત ખૂંટ સામે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ખોટી ફરિયાદ નોંધાવી હતી. આ કેસના કારણે અમિત ખૂંટ ભારે માનસિક તણાવમાં આવી ગયા હતા અને અંતે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
સુસાઇડ નોટમાં કર્યા હતા ગંભીર આરોપો
અમિત ખૂંટ પાસેથી મળેલી ચાર પાનાની સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને એક સગીરાનું નામ લખાયું હતું. નોટમાં તેમણે સ્પષ્ટ લખ્યું હતું કે, “હું આ લોકોના ત્રાસથી મરું છું.”
જૂના રાજકીય વિવાદનો પણ ઉલ્લેખ
ફરિયાદમાં જણાવાયું છે કે અગાઉ જમીનના મુદ્દે અને પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાના હત્યા કેસમાં અનિરુદ્ધસિંહને મળેલી સજામાફી સામે કરાયેલી અરજીને લઈને બંને પક્ષો વચ્ચે અદાવત ચાલી રહી હતી. આ વેર રાખીને સમગ્ર કાવતરું રચાયું હોવાનો આરોપ છે.
પોપટ સોરઠિયા હત્યા કેસમાં હજુ જેલમાં જ રહેશે
અનિરુદ્ધસિંહ જાડેજા 1988માં ગોંડલના તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયાની હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. તેથી અમિત ખૂંટ કેસમાં જામીન મળ્યા હોવા છતાં હાલ તેઓ જેલમાંથી બહાર આવી શકશે નહીં.

Leave a Comment

और देखें
error: Content is protected !!