ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માત્ર મેરેજ સર્ટિફિકેટથી હિંદુ લગ્ન માન્ય નહીં, સાત ફેરા જરૂરી

SHARE:

હિંદુ લગ્ન અંગે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
ગુજરાત હાઈકોર્ટે હિંદુ લગ્નની કાયદેસર માન્યતા અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું છે કે માત્ર મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટના આધારે કોઈ હિંદુ લગ્ન કાયદેસર ગણાઈ શકતા નથી. હિંદુ મેરેજ એક્ટની કલમ-7 મુજબ જરૂરી ધાર્મિક વિધિ અને સપ્તપદી (સાત ફેરા) પૂર્ણ થયા બાદ જ લગ્ન માન્ય ગણાય છે.
મેરેજ સર્ટિફિકેટ લગ્નનો પુરાવો, લગ્ન નહીં
કોર્ટે સ્પષ્ટ કર્યું કે હિંદુ મેરેજ એક્ટની કલમ-8 હેઠળનું મેરેજ રજિસ્ટ્રેશન માત્ર પહેલેથી કાયદેસર રીતે થયેલા લગ્નનો રેકોર્ડ અથવા પુરાવો છે. જો લગ્નની મૂળભૂત ધાર્મિક વિધિઓ જ પૂર્ણ ન થઈ હોય તો માત્ર પ્રમાણપત્રથી પતિ-પત્નીનો કાયદેસર દરજ્જો મળી શકતો નથી.
શું હતો સમગ્ર મામલો?
યુકેમાં રહેતા એક યુવકે દાવો કર્યો હતો કે યુવતીના પિતાની કંપનીમાં નોકરી દરમિયાન છેતરપિંડીથી તેની સહી લઈ લગ્નનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. યુવકના જણાવ્યા મુજબ બંને વચ્ચે ક્યારેય હિંદુ રીતરિવાજ મુજબ લગ્ન થયા નહોતા અને બંને ક્યારેય પતિ-પત્ની તરીકે સાથે રહ્યા નહોતા.
મહિલાએ પણ કોર્ટમાં કરી સ્વીકૃતિ
સુનાવણી દરમિયાન મહિલાએ પણ લેખિતમાં સ્વીકાર્યું હતું કે બંને વચ્ચે કોઈ લગ્નવિધિ થઈ નહોતી અને તેઓ ક્યારેય પતિ-પત્ની તરીકે સાથે રહ્યા નહોતા. સામે પક્ષે પણ સ્વીકાર્યું કે લગ્નના રજિસ્ટ્રેશન સિવાય કોઈ ધાર્મિક વિધિનો પુરાવો ઉપલબ્ધ નહોતો.
ફેમિલી કોર્ટનો આદેશ રદ
ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે અમદાવાદ ફેમિલી કોર્ટનો અગાઉનો આદેશ રદ કરીને કથિત લગ્નને રદબાતલ જાહેર કર્યા. કોર્ટે કહ્યું કે હિંદુ લગ્ન એક પવિત્ર સંસ્કાર છે અને જરૂરી ધાર્મિક વિધિઓ વિના તેને કાયદેસર લગ્ન તરીકે સ્વીકારી શકાય નહીં.
લગ્ન કોઈ કરાર નહીં, પવિત્ર સંસ્કાર
કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે હિંદુ સમાજમાં લગ્ન માત્ર કાનૂની કરાર નહીં પરંતુ પવિત્ર સંસ્કાર છે. અગ્નિની સાક્ષીએ સાત ફેરા અને પરંપરાગત વિધિઓ પૂર્ણ થયા બાદ જ લગ્નને હિંદુ કાયદા હેઠળ કાયદેસર માન્યતા મળે છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!