પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડા અંગે કેન્દ્રિય મંત્રીનો મોટો સંકેત
અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી થયા બાદ હોર્મુઝની કટોકટી ઓછી થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું છે કે જો આગામી 2થી 3 મહિના સુધી આ ઘટાડો યથાવત રહેશે તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા અંગે વિચારણા થઈ શકે છે.
હાલ જૂના સ્ટોકનું ક્રૂડ ઓઈલ વપરાઈ રહ્યું છે
હરદીપ પુરીએ જણાવ્યું કે હાલમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ તે ક્રૂડ ઓઈલનો ઉપયોગ કરી રહી છે જે બે થી અઢી મહિના પહેલાં ઊંચા ભાવમાં ખરીદવામાં આવ્યું હતું. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટ્યા હોવા છતાં તરત જ ગ્રાહકોને તેનો લાભ મળવો શક્ય નથી.
અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ઓછો વધારો
કેન્દ્રિય મંત્રીના જણાવ્યા મુજબ છેલ્લા ચાર વર્ષમાં ભારતમાં પેટ્રોલના ભાવમાં માત્ર 5.58 ટકા અને ડીઝલમાં 6.23 ટકાનો વધારો થયો છે. જ્યારે ફ્રાન્સ, જર્મની, ઇટાલી સહિત અનેક દેશોમાં તેમજ પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળ જેવા પડોશી દેશોમાં ઈંધણના ભાવમાં ઘણો મોટો વધારો નોંધાયો છે.
હોર્મુઝ કટોકટી છતાં ભારતમાં અછત નહીં
હરદીપ પુરીએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં તણાવ છતાં ભારતમાં ક્યાંય પણ પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઈ નહોતી. દેશભરમાં ઈંધણનો પુરવઠો સતત જાળવી રાખવામાં આવ્યો અને કોઈપણ સ્થળે લાંબી લાઈનો કે સપ્લાયમાં અવરોધ આવ્યો નહોતો.
એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને સરકારે આપી હતી રાહત
કેન્દ્રિય મંત્રીએ યાદ અપાવ્યું કે અગાઉ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર ₹10 એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને ગ્રાહકોને મોટી રાહત આપી હતી. જેના કારણે સરકારને અંદાજે ₹1 લાખ કરોડની આવકનું નુકસાન થયું હતું.
ભાવ ઘટાડા પર હજુ રાહ જોવી પડશે
હરદીપ પુરીએ સ્પષ્ટ કર્યું કે જો ક્રૂડ ઓઈલના હાલના નીચા ભાવ આગામી 2-3 મહિના સુધી જળવાઈ રહેશે તો સ્થિતિની સમીક્ષા કરીને પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ કોઈ ચોક્કસ સમયસીમા જણાવવી યોગ્ય નહીં હોવાનું તેમણે કહ્યું.