થાઈલેન્ડના મુકદાહન શહેરમાં ગુરુવારે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. 11 વર્ષના બાળકે પોતાના માતા-પિતાની પિકઅપ ટ્રક ચલાવી રસ્તા પર તીર્થયાત્રા કરી રહેલા બૌદ્ધ ભિક્ષુઓના સમૂહને અડફેટે લેતા ઓછામાં ઓછા 9 ભિક્ષુઓના મોત થયા છે. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
એક મંદિરથી બીજા મંદિર સુધી નીકળી હતી યાત્રા
મુકદાહન પ્રાંતના રાજ્યપાલ વોરાયન બુનારતના જણાવ્યા અનુસાર 34 બૌદ્ધ ભિક્ષુઓ અને 5 ગૃહસ્થ અનુયાયિઓ એક મંદિરથી પાડોશી ઉબોન રત્ચથાની પ્રાંતના બીજા મંદિર સુધી તીર્થયાત્રા કરી રહ્યા હતા. તે દરમિયાન પિકઅપ ટ્રક તેમની ઉપર ફરી વળી હતી.
5નાં સ્થળ પર જ મોત, 4એ હોસ્પિટલમાં તોડ્યો દમ
અકસ્માતમાં પાંચ ભિક્ષુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા ચાર ભિક્ષુઓએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. ત્રણ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
માતા-પિતાની મંજૂરી વગર ટ્રક લઈ નીકળ્યો હતો બાળક
પોલીસના જણાવ્યા મુજબ 11 વર્ષના બાળકે માતા-પિતાની મંજૂરી વિના તેમની પિકઅપ ટ્રક લઈ લીધી હતી. લગભગ 10 કિલોમીટર સુધી વાહન ચલાવ્યા બાદ તેણે નિયંત્રણ ગુમાવ્યું અને યાત્રા કરી રહેલા ભિક્ષુઓને અડફેટે લીધા.
બાળકનું નિવેદન હજુ લેવાયું નથી
મુકદાહન પ્રાંતના પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે હાલ બાળકની માનસિક અને શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેનું નિવેદન લેવામાં આવ્યું નથી. ઘટનાની તપાસ ચાલુ છે અને હજુ સુધી કોઈ સત્તાવાર આરોપ નોંધવામાં આવ્યા નથી.
થાઈલેન્ડમાં બૌદ્ધ ભિક્ષુઓને અપાય છે વિશેષ સન્માન
થાઈલેન્ડમાં બૌદ્ધ ભિક્ષુઓને સમાજમાં વિશેષ માન-સન્માન આપવામાં આવે છે. તેઓ બુદ્ધના ઉપદેશોના સંરક્ષણ અને પ્રચાર માટે મહત્વની ભૂમિકા ભજવે છે. જાહેર યાત્રાઓ દરમિયાન સ્થાનિક લોકો ભિક્ષુઓને ભોજન અને અન્ય જરૂરી વસ્તુઓનું દાન આપતા હોય છે.