અયોધ્યાના રામ મંદિર બાદ હવે કેદારનાથ અને બદ્રીનાથ મંદિરમાં પણ ચઢાવાની રકમમાં ગેરરીતિના આરોપો સામે આવ્યા છે. ધાર્મિક સંગઠન ભૈરવ સેનાના અધ્યક્ષ સંદીપ ખત્રીએ બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ને લેખિત ફરિયાદ કરીને કેટલાક કર્મચારીઓ પર દાનની રકમમાં ગડબડ કરવાનો આરોપ લગાવ્યો છે.
CCTV ફૂટેજ સુરક્ષિત, કર્મચારીઓને નોટિસ
ફરિયાદ મળતા જ BKTCના CEO સોહન સિંહ રાંગડે આરોપી ગણાયેલા કર્મચારીઓ સહિત ફરજ પર રહેલા ચાર કર્મચારીઓને ત્રણ દિવસમાં જવાબ આપવા નોટિસ ફટકારી છે. સાથે જ 2 જુલાઈના CCTV ફૂટેજ તપાસ માટે સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
વાયરલ વીડિયો બાદ મામલો ગરમાયો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વીડિયોમાં દાનપેટીમાંથી નાણાં કાઢવાની પ્રક્રિયા અંગે સવાલો ઉઠ્યા હતા. ભૈરવ સેનાનું કહેવું છે કે મંદિર સમિતિના આંતરિક સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે ફરિયાદ કરવામાં આવી છે.
BKTC અધ્યક્ષનો ખુલાસો
BKTC અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર જે કર્મચારીને તેમના અંગત સહાયક તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે તે દાવો ખોટો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો કોઈ પર્સનલ PA નથી. જો તપાસમાં કોઈ કર્મચારી દોષિત સાબિત થશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
નિષ્પક્ષ તપાસની માગ
તીર્થ પુરોહિત સમાજ અને અન્ય ધાર્મિક સંગઠનોએ સમગ્ર દાન વ્યવસ્થાની પારદર્શક તપાસ કરવાની માંગ કરી છે. મંદિર સમિતિએ દાવો કર્યો છે કે દાનની ગણતરી અધિકારીઓ, બેંક કર્મચારીઓ અને CCTV દેખરેખ હેઠળ જ કરવામાં આવે છે.
BKTC અગાઉ પણ વિવાદોમાં રહી ચૂકી છે
આ પહેલા પણ BKTC પર કેદારનાથમાં સોનાની પ્લેટો, અનધિકૃત QR કોડ, VIP દર્શન વ્યવસ્થા, બજેટ ખર્ચ અને ભરતી પ્રક્રિયા સહિતના અનેક વિવાદોને લઈને સવાલો ઉઠી ચૂક્યા છે.