ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારા હત્યાકાંડનો ખુલાસો થયો છે. રૂબી નામની મહિલાએ પોતાના પતિ સુરેન્દ્ર કુમાર શર્માની હત્યા કર્યા બાદ મૃતદેહને ઘરના બાથરૂમમાં દફનાવી તેના પર ટાઇલ્સ લગાવી દીધી હતી. ત્યારબાદ તે 45 દિવસ સુધી પતિ ગુમ હોવાનું કહી પરિવાર અને પોલીસને ગેરમાર્ગે દોરતી રહી.
જેઠને શંકા જતા ખુલ્યો ભેદ
તપાસ દરમિયાન આરોપી મહિલા પોલીસ સાથે CCTV ફૂટેજ જોતી હતી અને રડીને નિર્દોષ હોવાનો ઢોંગ કરતી હતી. જોકે, તેના જેઠ અનિલ શર્માને તેના વર્તન પર શંકા જતાં તેમણે વિશ્વાસમાં લઈને વાત કરતા મહિલાએ આખો ગુનો કબૂલી લીધો.
બાથરૂમનો ફ્લોર તોડતાં હાડપિંજર મળ્યું
મહિલાના કબૂલાત બાદ પોલીસે ઘરના બાથરૂમનો ફ્લોર તોડાવ્યો. અંદરથી મૃતદેહ સંપૂર્ણપણે સડી ગયો હોવાથી માત્ર હાડપિંજર જ મળી આવ્યું. હવે ફોરેન્સિક તપાસના આધારે વધુ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.
ખીરમાં ઊંઘની ગોળીઓ ભેળવી હત્યા કરવાનો આરોપ
પોલીસ પૂછપરછમાં મહિલાએ જણાવ્યું કે પતિ દારૂના નશામાં મારપીટ કરતો હતો. તેથી તેણે ખીરમાં 18થી વધુ ઊંઘની ગોળીઓ ભેળવી ખવડાવી હતી. બીજા દિવસે પતિનું મોત થતાં તેણે મૃતદેહને બાથરૂમમાં દફનાવી દીધો અને પરિવારને રાજસ્થાન મોકલી દીધા હતા.
પછી બાથરૂમમાં નવી ટાઇલ્સ લગાવી દીધી
મૃતદેહ દફનાવ્યા બાદ મહિલાએ મજૂરોને બોલાવી બાથરૂમમાં નવું ફ્લોરિંગ અને ટાઇલ્સ લગાવી દીધી હતી, જેથી કોઈને શંકા ન જાય. ત્યારબાદ તેણે પતિ પાંચ હજાર રૂપિયા લઈને ઘર છોડીને ચાલ્યો ગયો હોવાની ખોટી વાત ફેલાવી હતી.
પોલીસે મહિલાની ધરપકડ કરી
પોલીસે આરોપી પત્ની રૂબીને કસ્ટડીમાં લઈને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતકના હાડપિંજરની ફોરેન્સિક તપાસ બાદ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.