બ્રિટનમાં હિન્દુ મંદિરનું સપનું તૂટ્યું! ચર્ચને મળી 999 વર્ષની લીઝ, હિન્દુ સંગઠનમાં રોષ

SHARE:

હિન્દુ સમુદાયને મોટો આંચકો
બ્રિટનના કેમ્બ્રિજશાયરમાં વસતા હિન્દુ સમુદાયને મોટો ઝટકો લાગ્યો છે. વર્ષોથી પ્રથમ હિન્દુ મંદિર બનાવવાના પ્રયાસો વચ્ચે સ્થાનિક કાઉન્સિલે ધાર્મિક પ્રવૃત્તિઓ માટે અનામત જમીન હિન્દુ સંગઠનને નહીં, પરંતુ ચર્ચ નેટવર્કને 999 વર્ષની લાંબી લીઝ પર ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ પ્રોજેક્ટમાં એક મુસ્લિમ સંગઠનને પણ નમાજ અને ધાર્મિક શિક્ષણ માટે અલગ જગ્યા આપવામાં આવશે.
શું છે સમગ્ર વિવાદ?
આ મામલો નોર્થસ્ટો શહેરનો છે, જ્યાં ઝડપથી વસતી વધી રહી છે. સાઉથ કેમ્બ્રિજશાયર ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલે આશરે 0.25 હેક્ટર જમીન નોર્થસ્ટો ચર્ચ નેટવર્ક (NCN)ને લાંબા ગાળાની લીઝ પર આપવાનો નિર્ણય કર્યો છે. આ જ જમીન માટે ‘હિન્દુ સમાજ નોર્થસ્ટો’ (HSN)એ પણ અરજી કરી હતી.
હિન્દુ સંગઠન અહીં મંદિર સાથે ઇન્ટરફેથ સેન્ટર અને વેલનેસ સેન્ટર ઉભું કરવા માગતું હતું, જેથી તમામ સમુદાયના લોકો તેનો લાભ લઈ શકે.
ગુણાંકના આધારે ચર્ચનો પ્રસ્તાવ પસંદ
કાઉન્સિલની મૂલ્યાંકન સમિતિએ ચર્ચ નેટવર્કના પ્રસ્તાવને 81 ટકા ગુણ આપ્યા હતા, જ્યારે હિન્દુ સમાજ નોર્થસ્ટોને 65 ટકા ગુણ મળ્યા હતા. આ મૂલ્યાંકનના આધારે ચર્ચના પ્રસ્તાવને અંતિમ મંજૂરી આપવામાં આવી.
સમગ્ર વિસ્તારમાં એક પણ હિન્દુ મંદિર નથી
હિન્દુ સમુદાયના જણાવ્યા મુજબ સમગ્ર કેમ્બ્રિજશાયરમાં એક પણ હિન્દુ મંદિર નથી. ધાર્મિક વિધિઓ અને તહેવારો માટે લોકોને બર્મિંગહામ અથવા વેમ્બલી સુધી લાંબી મુસાફરી કરવી પડે છે. મહાશિવરાત્રી, ગણેશોત્સવ જેવા તહેવારો દરમિયાન યોગ્ય જગ્યા ન મળતાં ઘણીવાર મૂર્તિઓ લોકોને પોતાના ઘર અથવા ગેરેજમાં રાખવી પડે છે.
હિન્દુ સંગઠન કરશે અપીલ
હિન્દુ સમાજ નોર્થસ્ટોના પ્રમુખે નિર્ણય સામે નિરાશા વ્યક્ત કરતાં પસંદગી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલ ઉઠાવ્યા છે. સંગઠન હવે આ નિર્ણય સામે અપીલ કરવાની તૈયારી કરી રહ્યું છે. સાથે જ બ્રિટનમાં ઉછરી રહેલી નવી પેઢી પોતાની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખથી દૂર થઈ જશે તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
કાઉન્સિલ અને મુસ્લિમ સંગઠનનો જવાબ
નોર્થસ્ટો મુસ્લિમ સંગઠનનું કહેવું છે કે શહેરમાં આશરે 200 મુસ્લિમ પરિવારો રહે છે અને તેમને નમાજ માટે કાયમી સ્થળની જરૂર હતી, તેથી તેઓ આ પ્રોજેક્ટમાં જોડાયા છે. ચર્ચ નેટવર્કે જણાવ્યું છે કે સંકુલ તૈયાર થયા બાદ નિયમો મુજબ અન્ય સામાજિક સંગઠનોને પણ તેનો ઉપયોગ કરવાની તક મળશે.
કાઉન્સિલર ડૉ. લીસા રેડરપે જણાવ્યું કે તમામ અરજીઓનું મૂલ્યાંકન અગાઉથી નક્કી કરાયેલા માપદંડોના આધારે કરવામાં આવ્યું હતું અને સમગ્ર પ્રક્રિયા નિષ્પક્ષ તથા પારદર્શક રહી છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!