ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: દુષ્કર્મ પીડિત બે સગીરાઓને ગર્ભપાતની મંજૂરી

SHARE:

દુષ્કર્મ પીડિત બે સગીરાઓને ગુજરાત હાઇકોર્ટથી રાહત
ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ચુકાદામાં સાબરકાંઠા અને કચ્છની બે દુષ્કર્મ પીડિત સગીરાઓને ગર્ભપાત કરવાની મંજૂરી આપી છે. કોર્ટે પીડિતાઓના શારીરિક અને માનસિક હિતને પ્રાથમિકતા આપતાં સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓના આધારે આ નિર્ણય કર્યો છે.
સાબરકાંઠાની 16 વર્ષની સગીરાને 26 સપ્તાહનો ગર્ભ
પ્રથમ કેસ સાબરકાંઠાના હિંમતનગરનો છે, જ્યાં 16 વર્ષની સગીરા સાથે થયેલા કથિત દુષ્કર્મના કેસમાં ગર્ભપાતની મંજૂરી માગવામાં આવી હતી. મેડિકલ રિપોર્ટ મુજબ સગીરાને 26 સપ્તાહ અને 3 દિવસનો ગર્ભ હતો. હાઇકોર્ટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ ગર્ભપાત કરવાની મંજૂરી આપી છે.
કચ્છની 17 વર્ષની સગીરાને પણ મંજૂરી
બીજો કેસ કચ્છ જિલ્લાના ગાંધીધામનો છે. 17 વર્ષની સગીરાને 16 સપ્તાહનો ગર્ભ છે અને તે એનિમિયા જેવી તબીબી સમસ્યાથી પણ પીડાય છે. તમામ તબીબી અહેવાલોને ધ્યાનમાં રાખીને કોર્ટે ગાંધીધામ જનરલ હોસ્પિટલમાં ગર્ભપાતની મંજૂરી આપી છે.
નિષ્ણાત તબીબોની પેનલ રહેશે હાજર
કોર્ટે બંને કેસમાં ગર્ભપાતની પ્રક્રિયા નિષ્ણાત ડૉક્ટરોની વિશેષ પેનલની દેખરેખ હેઠળ કરવાના નિર્દેશ આપ્યા છે. સાથે જ પીડિતા અને તેના પરિવારને સર્જરી માટે પોતાના જોખમે સંમતિપત્ર (Undertaking) આપવાનો પણ આદેશ કર્યો છે.
DNA સેમ્પલ સાચવવાનો આદેશ
ભવિષ્યની ફોજદારી તપાસ અને પુરાવા માટે હાઇકોર્ટે ગર્ભમાંથી વૈજ્ઞાનિક પદ્ધતિથી DNA ટિશ્યૂ સેમ્પલ એકત્ર કરીને તપાસ અધિકારીને સોંપવાનો નિર્દેશ પણ આપ્યો છે.
બાળક જીવિત જન્મે તો સરકાર સંભાળશે જવાબદારી
ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો ગર્ભપાત દરમિયાન બાળક જીવિત જન્મે અને પરિવાર તેની જવાબદારી લેવા તૈયાર ન હોય, તો રાજ્ય સરકાર અને સંબંધિત એજન્સીઓએ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ બાળકની સંપૂર્ણ જવાબદારી સંભાળવાની રહેશે. હોસ્પિટલને પણ નવજાતને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!