જન્મ-મૃત્યુ નોંધણીના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી
કેન્દ્ર સરકાર દેશની સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (Civil Registration System-CRS)ને વધુ મજબૂત અને પારદર્શક બનાવવા માટે જન્મ અને મૃત્યુ નોંધણીના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની તૈયારીમાં છે.
ગૃહ મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલા નવા પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. સરકારનો હેતુ જન્મ અને મૃત્યુના રેકોર્ડ સમયસર નોંધાય, મોડા રજિસ્ટ્રેશનમાં ઘટાડો થાય અને ગેરરીતિઓ પર રોક લગાવી શકાય તેવો છે.
2 વર્ષથી વધુ વિલંબ થશે તો કોર્ટના આદેશની જરૂર
હાલના નિયમો મુજબ, જો જન્મ અથવા મૃત્યુની નોંધણી એક વર્ષથી વધુ મોડે થાય તો જિલ્લા મેજિસ્ટ્રેટ (DM), સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) અથવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની મંજૂરીથી નોંધણી થઈ શકે છે.
પરંતુ નવા પ્રસ્તાવ મુજબ, જો નોંધણીમાં બે વર્ષથી વધુનો વિલંબ થયો હશે તો માત્ર ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશ બાદ જ જન્મ અથવા મૃત્યુનું રજિસ્ટ્રેશન શક્ય બનશે.
જોકે, બે વર્ષ સુધીના વિલંબ માટે હાલની વ્યવસ્થા યથાવત રાખવાનો પ્રસ્તાવ છે.
21 દિવસમાં નોંધણી કરાવવી રહેશે ફરજિયાત
ભારતમાં દરેક જન્મ અને મૃત્યુની નોંધણી ડિજિટલ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) હેઠળ 21 દિવસની અંદર સ્થાનિક રજિસ્ટ્રાર પાસે કરાવવી ફરજિયાત છે.
જો સમયસર નોંધણી ન થાય તો નિયમો મુજબ અલગ-અલગ પ્રક્રિયા લાગુ પડે છે.
મોડી નોંધણી માટે હાલ શું છે નિયમો?
-
21 દિવસની અંદર: સામાન્ય રીતે કોઈ વધારાની પ્રક્રિયા વગર નોંધણી થઈ શકે છે.
-
21થી 30 દિવસ વચ્ચે: નિયત મોડી ફી સાથે નોંધણી કરાવી શકાય છે.
-
30 દિવસથી 1 વર્ષ સુધી: જિલ્લા રજિસ્ટ્રાર અથવા સત્તાધિકારીની લેખિત મંજૂરી, જરૂરી ફી અને સેલ્ફ-એટેસ્ટેડ દસ્તાવેજો સાથે નોંધણી કરાવવી પડે છે.
-
1 વર્ષથી વધુ: હાલ મેજિસ્ટ્રેટની મંજૂરી જરૂરી છે.
-
પ્રસ્તાવિત નવા નિયમ મુજબ 2 વર્ષથી વધુ: ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશ બાદ જ નોંધણી શક્ય બનશે.







