નાગાલેન્ડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનનો કહેર: 8નાં મોત, 13 મકાનો કાટમાળ નીચે દટાયા

SHARE:

ભારે વરસાદ બાદ નાગાલેન્ડમાં મોટી દુર્ઘટના
નાગાલેન્ડના મોન જિલ્લાના ડિફેન્સ કોલોની વિસ્તારમાં રવિવારે સવારે ભારે વરસાદ બાદ ભયાનક ભૂસ્ખલનની ઘટના બની છે.
પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે, જ્યારે 13 મકાનો સંપૂર્ણપણે કાટમાળ નીચે દટાઈ ગયા છે. અનેક લોકો હજુ પણ લાપતા હોવાની આશંકા વચ્ચે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
SDRF, NDRF અને સેનાની ટીમો બચાવ કામગીરીમાં
ઘટનાની જાણ થતાં જ SDRF, NDRF, આસામ રાઇફલ્સ, સ્થાનિક પોલીસ અને સેનાની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
અધિકારીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કાટમાળમાંથી કેટલાક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 12 જેટલા ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
સતત વરસાદ, ઢોળાવવાળો વિસ્તાર અને પાણીના જોરદાર પ્રવાહને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મધરાતથી શરૂ થયો ભારે વરસાદ
મોન જિલ્લાના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા અનુસાર, શનિવાર-રવિવારની મધરાતથી જ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો હતો.
સવારે લગભગ 6થી 7 વાગ્યાની વચ્ચે ભૂસ્ખલનની માહિતી મળી હતી. મોન ટાઉન અને તિજિત વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત હોવાનું જણાવાયું છે.
પ્રશાસનના જણાવ્યા મુજબ હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે અને તેમની શોધખોળ ચાલુ છે.
મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો શોક
નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને તમામ બચાવ એજન્સીઓ સાથે સંકલન કરીને રાહત કામગીરી તેજ કરવામાં આવી છે.
મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય તેમજ અસરગ્રસ્ત પરિવારોને જરૂરી રાહત સામગ્રી પૂરી પાડવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
નદી કિનારાના વિસ્તારોમાં એલર્ટ
સતત વરસાદને કારણે મોન જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
નદી કિનારે જમીન ધોવાણ વધતા અન્ય મકાનો પર પણ જોખમ ઊભું થયું છે. જેના પગલે પ્રશાસને જોખમી વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી છે.
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને પહાડી ઢોળાવ, નદી કિનારા અને ભૂસ્ખલન સંવેદનશીલ વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!