‘મન કી બાત’માં PM મોદીનો યુવાનોને સંદેશ: કારગિલના શૂરવીરોથી લઈને વિક્રમ-1, જળ સંરક્ષણ અને ‘એક પેડ માં કે નામ’ અભિયાન સુધી અનેક મુદ્દાઓનો ઉલ્લેખ

SHARE:

‘મન કી બાત’માં કારગિલના શૂરવીરોને નમન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પ્રસારિત થયેલા ‘મન કી બાત’ના 136મા એપિસોડમાં દેશને સંબોધિત કર્યું. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને કહ્યું કે આ એવી તારીખ છે, જેને યાદ રાખવા માટે દિવસ યાદ રાખવાની જરૂર પડતી નથી.
તેમણે જણાવ્યું કે કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય જવાનોએ દરેક પડકારનો સામનો કરીને દેશનું ગૌરવ વધાર્યું હતું.
યુવાનો અને વિજ્ઞાન ક્ષેત્રની સિદ્ધિઓની પ્રશંસા
પ્રધાનમંત્રીએ ભારતીય યુવાનોની પ્રશંસા કરતાં જણાવ્યું કે દેશના વિદ્યાર્થીઓ સતત આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરી રહ્યા છે.
તેમણે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને ગણિતના આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડમાં ભારતીય વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનનો ઉલ્લેખ કરીને તેને દેશ માટે ગર્વની બાબત ગણાવી.
વિક્રમ-1 રોકેટને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી
મોદીએ કહ્યું કે તાજેતરમાં થયેલું વિક્રમ-1 રોકેટનું સફળ પ્રક્ષેપણ ભારતના અવકાશ ક્ષેત્ર માટે ઐતિહાસિક ક્ષણ છે.
તેમણે જણાવ્યું કે આ ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસિત ભારતનું પ્રથમ રોકેટ છે અને યુવા ઇનોવેટર્સે પોતાની પ્રતિભા, ધૈર્ય અને કુશળતાથી નવી સિદ્ધિ હાંસલ કરી છે.
જળ સંરક્ષણ અને સ્વદેશી રક્ષા ટેકનોલોજી પર ભાર
‘કેચ ધ રેન’ અભિયાનનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું કે જ્યાં વરસાદનું પાણી પડે ત્યાં જ તેનું સંરક્ષણ કરવું જરૂરી છે.
તેમણે મધ્ય પ્રદેશમાં હજારો તળાવોના નિર્માણ સહિત વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી જળ સંરક્ષણ પહેલની પ્રશંસા કરી.
રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહેલા પ્રયાસો અંગે તેમણે INS મહેન્દ્રગિરી અને પિનાકા મિસાઈલનો પણ ઉલ્લેખ કર્યો.
અમદાવાદના વૃક્ષારોપણ અભિયાનનો કર્યો ઉલ્લેખ
‘એક પેડ માં કે નામ’ અભિયાન વિશે વાત કરતાં વડાપ્રધાને જણાવ્યું કે અમદાવાદમાં માત્ર એક કલાકમાં 3.5 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
તેમણે ઉત્તર પ્રદેશમાં એક જ દિવસમાં 35 કરોડથી વધુ વૃક્ષો વાવવાના અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો અને ગુજરાતના ગીર જંગલમાં હોર્નબિલ પક્ષીની વાપસીને પર્યાવરણ સંરક્ષણનું સકારાત્મક પરિણામ ગણાવ્યું.
પ્લાસ્ટિક મુક્ત ભારત અને માટીની ગણેશ મૂર્તિની અપીલ
વડાપ્રધાને પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરતાં બિહારના સીતામઢીમાં પ્લાસ્ટિકના કચરાનું રિસાયક્લિંગ કરીને બેન્ચ બનાવવાની પહેલની પ્રશંસા કરી.
આગામી ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને તેમણે લોકોને પીઓપી અને પ્લાસ્ટિકની જગ્યાએ માટીની ગણેશ પ્રતિમા અપનાવવાની અપીલ પણ કરી.
ખાદી અને સ્થાનિક ઉત્પાદનો ખરીદવા અપીલ
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને નેશનલ હેન્ડલૂમ ડે અને ખાદી અંગે પણ વાત કરી.
તેમણે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં ખાદીનું વેચાણ નોંધપાત્ર રીતે વધ્યું છે અને દેશના હેન્ડલૂમ તથા સ્થાનિક ઉત્પાદનોને નવી ઓળખ મળી રહી છે. તેમણે ‘વોકલ ફોર લોકલ’ને વધુ મજબૂત બનાવવાની અપીલ કરી.
‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાવા આહ્વાન
કાર્યક્રમના અંતમાં વડાપ્રધાને ભારત રત્ન ડૉ. એપીજે અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ આપી, ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી અને આગામી સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અપીલ કરી.

Leave a Comment

और देखें
error: Content is protected !!