નિર્દોષ લોકોના ભોગ બાદ તંત્ર હરકતમાં આવશે કે શું ??

વડોદરા અને આણંદ વચ્ચે આવેલ મહીસાગર નદી ઉપર નો આશરે 45 વર્ષ જુનો ગંભીરા બ્રિજ ના બે ટુકડા થઈ જતા આશરે 15 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો.બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના થી અંગે ગુજરાત તેમજ દેશની અંદર ચકચાર મચી ગઇ છે.
બ્રિજ તૂટી પડવાની ઘટના થી સરકાર ઉપર માછલા ધોવાઈ રહ્યા છે તેવામાં વર્ષો થી કેટલાય બ્રિજ સમારકામ ની રાહ જોઈ રહ્યા છે.ગંભીરા બ્રિજ ની દુર્ઘટના બાદ કદાચ તંત્ર જાગશે કે નહીં તે મોટો સવાલ છે ત્યારે અત્યારે પણ કડી વિસ્તારના બે બ્રિજ એવા છે જે એટલી ખરાબ હાલતમાં છે કે ગમે ત્યારે દુર્ઘટના ઘટી શકે છે.
1.રંગપુરડા અને બોરીસણા વચ્ચે આવેલો નર્મદા કેનાલ નો બ્રિજ
કડી થી સાણંદ વાળા હાઈવે ઉપર બોરીસણા અને રંગપુરડા વચ્ચે સૌરાષ્ટ્ર શાખાની નર્મદા કેનાલ ઉપર આવેલો બ્રિજ બિસ્માર હાલતમાં છે.વર્ષો પહેલા બનેલા નર્મદા વિભાગ દ્વારા બનાવવામાં આવેલા બ્રિજ ની નીચે સળિયા દેખાઈ રહ્યા છે તેમજ બ્રિજ નો એક છેડો બેસી ગયો છે તેમજ બ્રિજ પ્રોટેક્શન દિવાલ પણ તૂટી ગયેલી હાલત માં જોવા મળી રહી છે.બ્રિજ ની ખરાબ હાલત બાબતે કેટલીય વાર સરકારી ઓફિસો માં રજૂઆત થઈ છે પરંતુ નર્મદા કે અન્ય વિભાગ ના અધિકારીઓ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યા છે.
2.કડી થી દેઉસણા જવાનો નર્મદા કેનાલ ઉપર નો ઓગળનાથ પાસેનો બ્રિજ
કડી શહેર થી દેઉસણા જવા ના રસ્તા ઉપર ઓગળનાથ મહાદેવ ની બાજુમાં નર્મદા કેનાલ ઉપર નો બ્રિજ પણ ખખડધજ હાલતમાં છે.બ્રિજ ઉપર સળિયા દેખાઈ રહ્યા છે તેમજ બ્રિજ માં જગ્યા હોવાનું તેમજ તિરાડો જોવા મળી રહી છે. લોકો અત્યારે બ્રિજ ઉપર થી નીકળતા ડરી રહ્યા છે પરંતુ કમને ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા છે.






