યાત્રાધામ બહુચરાજીમાં ચોંકાવનારી ઘટના
મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજીમાં બનેલી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે. મજાક-મસ્તીમાં શરૂ થયેલો વિવાદ એટલો વિકરાળ બન્યો કે અંતે એક મિત્રે બીજા મિત્રની છરીના ઘા મારી હત્યા કરી નાખી.
છાપરામાં બેઠા હતા બંને મિત્રો
માહિતી મુજબ, ગઈ કાલે બપોરના સમયે મહેસાણા-બહુચરાજી હાઇવે પર જલિયાણ ધામની સામે આવેલા એક છાપરામાં ટીનાભાઈ દેવીપૂજક અને નરશીભાઈ દેવીપૂજક નામના બે મિત્રો બેઠા હતા. બંને વચ્ચે શરૂઆતમાં મજાક-મસ્તી ચાલી રહી હતી. પરંતુ વાતો દરમિયાન અચાનક ઝઘડો સર્જાયો.
ગુસ્સામાં છરી વડે હુમલો – સ્થળ પર જ મોત
ઝઘડાના તાવમાં આવેલા આરોપી નરશીભાઈએ પોતાની પાસે રહેલી છરી કાઢી મિત્ર ટીનાભાઈ પર હુમલો કર્યો. ગુસ્સામાં કરવામાં આવેલા આડેધડ છરીના ઘા એટલા ગંભીર હતા કે ટીનાભાઈ દેવીપૂજકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
પરિવારજનોએ નોંધાવી ફરિયાદ – પોલીસની સક્રિયતા
મૃતકના સગાઓએ બહુચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ આરોપી નરશીભાઈ દેવીપૂજક ફરાર છે.બહુચરાજી પોલીસે ટેકનિકલ હ્યુમન રિસોર્સિસ (THR) માધ્યમે આરોપીનું લોકેશન ટ્રેસ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. પોલીસે પ્રાથમિક તપાસમાં આરોપી નજીકના વિસ્તારમાં જ છુપાયેલો હોવાની સંભાવના વ્યક્ત કરી છે અને ટૂંક સમયમાં તેને ઝડપી પાડવાની શક્યતા છે.
વિસ્તારમાં ભય અને ચર્ચાનું માહોલ
આ અણધારી હત્યા કાંડથી બહુચરાજી સહિત સમગ્ર વિસ્તારમાં ભય અને આશ્ચર્યનું માહોલ છે. સામાન્ય મજાકમાંથી જીવલેણ ઝઘડો સર્જાતા લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે મિત્રતાની મસ્તીમાં પણ કાબૂ ગુમાવવાથી કેવી રીતે જીંદગી બલી ચઢી જાય છે






