અહેવાલ.. નિસર્ગ પટેલ
વિસનગર (જિલ્લો મહેસાણા):
દુષ્કર્મ કરનાર ઇસમો બૂટલેગરો હોવાની લોક ચર્ચા
વિસનગર શહેરમાં માનવતાને શરમાવે એવો બનાવ સામે આવ્યો છે.માત્ર 15 વર્ષની સગીરા પર એક પછી એક છ શખ્સોએ અલગ અલગ સ્થળે દુષ્કર્મ આચરતા શહેરમાં ચકચાર મચી ગઈ છે.પોલીસે તમામ આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
શરુઆત લાલચ અને અંતે અત્યાચાર
પોલીસ તપાસ મુજબ, સગીરાને સૌપ્રથમ પવન ઠાકોર અને વિજય ઠાકોરએ વિવિધ લાલચ આપી ખેતર વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.બાદમાં રાજ ઠાકોર અને અન્ય ઈસમોએ સગીરાને “ઘેર છોડવાની” લાલચ આપી ડોસાભાઈ પાર્કથી લઈ જઈ વારાફરતી અત્યાચાર આચર્યો હતો.આ પછી મોદી પ્રકાશ નામના શખ્સે સગીરાને એક્ટિવા પર બેસાડી પોતાના ઘેર લઈ જઈ દોઢ દિવસ સુધી બંધક બનાવી દુષ્કર્મ આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસની તાત્કાલિક કાર્યવાહી
સગીરાના પિતાએ દીકરી બે દિવસથી ઘેર ન આવતાં વિસનગર પોલીસને જાણ કરી હતી.પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને સગીરા મળી આવતાં પૂછપરછ હાથ ધરી.તે સમયે આખી ઘટનાનો ચોંકાવનારો ખુલાસો થયો.
ઘટનાની ગંભીરતા સમજી પોલીસે તાત્કાલિક વિજય ઠાકોર, પવન ઠાકોર, રાજ ઠાકોર, સોહમ ઠાકોર, મકવાણા દેવાંગ અને મોદી પ્રકાશ સહિતના છ આરોપીઓને ઝડપીને પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
લોકરોષ અને મહિલા સંગઠનોની પ્રતિક્રિયા
વિસનગરમાં આ બનાવ બાદ લોકરોષ ફાટી નીકળ્યો છે.સ્થાનિક નાગરિકો અને મહિલા સંગઠનો આરોપીઓને કડક સજા આપવાની માંગ કરી રહ્યા છે.તેઓનું કહેવું છે કે,
“સગીરાઓની સુરક્ષા માટે કડક કાયદા હોવા છતાં રોજ નવા બનાવો સામે આવી રહ્યા છે.
આવા ગુનેગારોને ઉદાહરણરૂપ સજા અપાઈ જવી જોઈએ.”
પોલીસનું નિવેદન
વિસનગર ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણએ જણાવ્યું:“સગીરાની ફરિયાદના આધારે તમામ આરોપીઓને ઝડપવામાં આવ્યા છે.વધુ તપાસ ચાલુ છે અને ગુનામાં સંડોવાયેલા દરેક વ્યક્તિ સામે કડક પગલાં લેવાશે.”
કાયદાકીય કાર્યવાહી ચાલુ
હાલ તમામ આરોપીઓ પોલીસ રિમાન્ડ હેઠળ છે, અને સગીરાનું તબીબી પરીક્ષણ તેમજ ડી.એન.એ. પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.પોલીસ હવે આરોપીઓ વચ્ચેનો સંબંધ, તેમની યોજના અને બનાવની પૂર્વ તૈયારી અંગે પણ તપાસ કરી રહી છે.
સવાલો અને ચિંતાઓ
આ બનાવે ફરી એકવાર સવાલ ઊભો કર્યો છે કે —સગીરાઓની સુરક્ષા માટેના કડક કાયદા અને નિયમો છતાં આવા બનાવો કેમ અટકતા નથી?સમાજમાં સુરક્ષા, સંસ્કાર અને કાનૂની ભયની અસર ક્યાંક ઓછી પડી રહી છે કે શું?સ્થાનિક સ્તરે હવે લોકો માંગ કરી રહ્યા છે કે આવા ગુનેગારોને કડક સજા આપી સમાજમાં ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.






