રિપોર્ટર: જીજ્ઞેશ બારૈયા, જાફરાબાદ
જાફરાબાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની વિવિધ ટિમો દ્વારા સતત ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય ચેતનાના કાર્યક્રમો યોજાતા રહે છે. આ જ કામગીરીમાં હવે નાની વયના બાળકો પણ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. બજરંગ દળની બાલ શાખાઓમાં બાળકોને શારીરિક અને માનસિક ક્ષમતાઓ વિકસાવવા માટે વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે.
જાફરાબાદની બજરંગ શાખાના સંચાલક સંજયભાઈ બાંભણિયા નાનાં બાળકોને શારીરિક તાલીમ, માનસિક શક્તિનો વિકાસ, આત્મરક્ષા કૌશલ્ય, યોગાભ્યાસ, તેમજ વ્યક્તિત્વ વિકાસ વિષે માર્ગદર્શન આપી રહ્યા છે. બાળકોમાં રાષ્ટ્રભાવના અને સંસ્કાર પ્રેરિત થાય તે માટે ખાસ શૈક્ષણિક સત્રો પણ યોજાઈ રહ્યા છે.
આ તાલીમ કાર્યક્રમ નિહાળવા અને બાલ યોદ્ધાઓને પ્રોત્સાહિત કરવા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ બાળકોને ગિફ્ટ આપીને તેમની હિંમત વધારી હતી.
કાર્યક્રમ દરમિયાન કોળી સમાજના સરમણભાઈ બારૈયાએ બાળકોને બૂટ ભેટ આપી સન્માનિત કર્યા હતા. સ્થાનિક આગેવાનો, મોટી સંખ્યામાં વેપારીઓ, તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહન પુરૂં પાડ્યું.
સ્થાનિક સ્તરે આ કાર્યક્રમને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. બજરંગ દળના કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ ભવિષ્યમાં આવા વધુ કાર્યક્રમો દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે.






