દિલીપભાઈ બારીઆ મહીસાગર
મહીસાગર:
મહીસાગર જિલ્લા માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ દ્વારા લુણાવાડાથી સંતરામપુર તરફ જતા મુખ્ય હાઇવેના વિસ્તરણનું મહત્વપૂર્ણ કામ શરૂ કરવામાં આવ્યું છે. હાલ રાફઈ ગામથી લુણાવાડા તરફના માર્ગ પર ફોર લેન (ચાર માર્ગીય) રસ્તા બનાવવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે.
આ હાઇવે મહીસાગરનું એક મુખ્ય જોડાણ માર્ગ છે, જે લુણાવાડા – સંતરામપુર – બાસવાડા – દાહોદ – કડાણા – રાજસ્થાન જેવા વિસ્તારોને જોડે છે. આ કારણે આ માર્ગ પર ભારે વાહનવ્યવહાર રહેતો હોય, વર્ષોથી માર્ગના વિસ્તરણની માંગ ઉઠતી હતી.
વિભાગે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરતાં સ્થાનિકો, વાહનચાલકો અને મુસાફરોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ફોરલેન માર્ગ તૈયાર થયા બાદ આ વિસ્તારમાં મુસાફરી વધુ આરામદાયક, ઝડપી અને સુરક્ષિત બનવાની શક્યતાઓ વધી ગઈ છે.
સરકારની યોજનામાં આ માર્ગ પર આગલા સમયમાં વધુ સુવિધાઓ — જેમ કે ડિવાઇડર, સ્ટ્રિટલાઇટ્સ, સેફ ઝોન, સર્વિસ રોડ તથા અન્ય આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર — ઉમેરવાની પણ તૈયારી છે.
સ્થાનિકોમાંથી મળતી પ્રતિક્રિયા મુજબ, આ વિકાસ કાર્ય પૂર્ણ થતાં વેપાર, પ્રવાસન અને રોજગારની નવી તકો પણ વધશે.








